સદર ખાટકીવાસમાં ટાંકાનું પાણી છલકીને આવતાં બે પરિવારો વચ્ચે ડખ્ખોઃ ૧૩ને ઇજા
સામાન્ય ઇજાઓ હોઇ સારવાર લીધીઃ ઘરમેળે સમાધાન કર્યુ
રાજકોટ તા. ૧૪: સદર બજાર ખાટકીવાસમાં રહેતાં બે પરિવારો વચ્ચે ઉપરના માળના ટાંકાનું પાણી છલકીને આવવા બાબતે અને ઉપરથી ફેંકાતા કચરા બાબતે માથાકુટ બોલાચાલી બાદ મારામારી થતાં બંને પક્ષના મળી ૧૩ને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં સારવાર અપાઇ હતી. જો કે આ મામલે પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ ઘરમેળે સમાધાન કરી લેવાયું હતું.
મારામારીમાં અમીનાબેન મહદમભાઇ દલવાડી, સોફીયાબેન મહમદભાઇ, રીઝવાના, મહમદ સિદ્દીક, નાઝીયા, સાદીયા, અલ્ફેઝ અને મહદમભાઇ સિદ્દીકભાઇ મારામારીમાં ઇજા થતાં સિવિલમાં દાખલ થયા હતાં. જ્યારે સામે પક્ષે સાહિલ જાકીરભાઇ ચોૈહાણ, સુમૈયાબેન હુશેનભાઇ, રૂબીનાબેન મુન્નાભાઇ, રફિક જાકીરભાઇ, હુશેન યુસુફભાઇ, મુન્ના યુસુફભાઇને ઇજાઓ થઇ હતી. આ બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં એન્ટ્રી નોંધાવી હતી. પરંતુ બાદમાં બંને પક્ષે ઘરમેળે સમાધાન કરી લીધું હતું. ઉપરના માળે રહેતાં સાહીલના ઘરનો ટાંકો છલકીને પાણી નીચેના માળે આવતું હોઇ તેમજ ઉપરથી કચરા ફેંકાતા હોઇ તે બાબતે બોલાચાલી બાદ એકબીજા પર હુમલો કરાયો હતો. જો કે ફરિયાદ નોંધાવવાનું બંને પક્ષે ટાળ્યું હતું.