રાજકોટ જિલ્લાના સાંસ્કૃતિક વિરાસત ધરાવતા આઠ સ્થળોના યાત્રિકોની સુવિધા લક્ષી વિકાસના કામોને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં સિદ્ધાંતિક મંજૂરી
કલેકટર અરુણ મહેશ બાબુ ના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં ખંભાલીડા ગુફા, ઓસમ ડુંગર, વાળા ડુંગર જેતપુર, ઘેલાસોમનાથ સહિતના તીર્થ અને પ્રવાસન સ્થળો માટે વિકાસના કામો સમય મર્યાદામાં શરૂ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના અપાઇ: રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસન સ્થળોના વિકાસ થકી સ્થાનિક રોજગારી ની તકો રહેલી છે- કલેકટર અરુણ મહેશ બાબુ
રાજકોટ :રાજકોટ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક આજે કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તીર્થ અને પ્રવાસન સ્થળોના વિકાસના યાત્રિક સુવિધા લક્ષી કામોનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો રાજકોટ જિલ્લાના આઠ પ્રવાસન તીર્થ સ્થળોના વિકાસ માટે બીજા તબક્કાના અને કેટલાક કામોમાં સિદ્ધાંતિક મંજૂરીઓ આપી સરકારમાં દરખાસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લા પ્રવાસન ની આજની મીટિંગમાં ખંભાલીડા ગુફામાં બીજા તબક્કાનું કામ સમય મર્યાદામાં શરૂ કરવા સૂચના આપવામાં આવી હતી. ખંભાલીડા ગુફા અને પાટણવાવના ઓસમના ડુંગર મા રહેલી પ્રવાસન અને તીર્થ ધામ પૌરાણિક મહાત્મ્ય , ટુરિસ્ટ પોઇન્ટ સહિત વિકાસની વધારાની સંભાવનાઓ ધ્યાનમાં લેવા અધિકારીઓની સંયુક્ત વિઝીટ પણ કરવામાં આવશે.
ઘેલા સોમનાથ મંદિર તીર્થ સ્થળે રૂ. ૧.૮૬ કરોડના બીજા તબક્કાના વિકાસ કામો શરૂ કરાશે. રાજકોટ તાલુકાના સણોસરા ગામે દરબાર ગઢના કામ ૧.૪૦ કરોડના ખર્ચે શરૂ કરવા ટેન્ડરિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગોંડલ તાલુકામાં શેમળી નદીમાં સિદ્ધેશ્વર મહાદેવ ના મંદિર પાસે રિવરફ્રન્ટ બનાવવા રૂપિયા ૨ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જેતપુર વાળા ડુંગર માં ખોડીયાર માતાના મંદિર પરિસરમાં રૂપિયા બે કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. ઓસમ ડુંગર માં પ્રવાસન નિગમ યાત્રાધામ બોર્ડ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા વિકાસના બાકીના કામો પૂર્ણ કરવા તેમજ બનાવવાની દરખાસ્ત મંજુર કરી બીજા તબક્કાના કામો માટે સરકારમાં દરખાસ્ત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગોંડલી નદી ના રૂપિયા પાંચ કરોડના વિકાસ કામો માટે સરકારમાં થયેલી દરખાસ્ત નું ફોલોઅપ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ખીરસરા ગામ મહાદેવડી નદી રીવર ફ્રન્ટ માટે પ્રાંત અધિકારી પાસેથી અહેવાલ મંગાવી આગળની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. કસ્તુરબાધામ ત્રંબકેશ્વર મહાદેવ પરિસરમાં વિકાસના કામો શરૂ કરવા સૂચના આપવામાં આવી હતી.
આજની મીટિંગમાં માર્ગ-મકાન વિભાગ, પ્રવાસન નિગમના પ્રોજેક્ટ ઇજનેરો તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડના પ્રોજેક્ટ ઇજનેરો તેમજ સ્થાનિક તંત્ર વચ્ચે સંકલન રહે તે માટે તેમજ થયેલા કામો ની પ્રગતિ અહેવાલ મોકલવામાં આવે તે માટે માર્ગદર્શિકા આપવામાં આવી હતી.
કલેકટર અરુણ મહેશ બાબુ એ રાજકોટ જિલ્લામાં વધુ ને વધુ પ્રવાસીઓ આવે અને ગ્રામ્ય વિસ્તારના સાંસ્કૃતિક ધરોહર સ્થળો નો વિકાસ થાય તો સ્થાનિક રોજગારી ની તકો રહેલી છે જે અંગે સકારાત્મક અભિગમ રાખી તાલુકા કક્ષાએ કે પ્રાંત કક્ષાએ કોઇ દરખાસ્ત વધુ સમય પેન્ડીંગ ન રહે અને જિલ્લા કક્ષાએ સમયાંતરે સમયસર મોકલી આપવામાં આવે તે માટે માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી ,અધિક કલેકટર કેતન ઠક્કર, જસદણ ધોરાજી ગોંડલ રાજકોટ ના પ્રાંત અધિકારીઓ, માર્ગ-મકાન વિભાગ પ્રવાસન નિગમ સહિતની કચેરી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા