બહુ થયુ હવે હાઉં કરજો... દેરાણી - જેઠાણીને મર્યાદામાં રહેવા શિક્ષણમંત્રી ચુડાસમાની તાકીદ
રાજકોટ આવેલા શિક્ષણમંત્રીએ કડકાઈથી બંનેને સંકલન કરીને કાર્ય કરવા આપી સલાહ
રાજકોટ, તા. ૧૪ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ પેથાણી અને કુલનાયક દેસાણી વચ્ચેના રોજબરોજના ઝઘડાથી સમસ્ત ઉચ્ચ શિક્ષણ જગત શરમ અનુભવી રહ્યુ છે. દેરાણી - જેઠાણી જેમ ઝઘડતા હોય યુનિવર્સિટીનું વહીવટી કામ ઠપ્પ થઈ ગયુ છે. સ્થાનિક લેવલે આ અંગે રજૂઆત કરવામાં આવી હતી છતા કોઈ યોગ્ય પ્રતિભાવ મળ્યો ન હતો.
બે દિવસ પહેલા રાજકોટની મુલાકાતે આવેલા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ યુનિવર્સિટીના ભાજપના આગેવાનો કે કુલપતિ પેથાણી અને કુલનાયક દેસાણી વચ્ચે થતા અવાર નવારના ઝઘડાથી કર્મચારી અધિકારીઓ અને અધ્યાપકોની સ્થિતિ દયનીય બની છે. સરકાર આ અંગે યોગ્ય કરવા માંગ કરી હતી.
ભાજપ આગેવાનોની રજૂઆત બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ બંનેના ઝઘડાથી સરકાર અને શિક્ષણ જગતમાં ખોટા મેસેજ જાય છે, બંનેના ઝઘડાથી વિદ્યાર્થી અને અધ્યાપક જગતમાં યુનિવર્સિટીની આબરૂ ખરડાય છે, તુરંત ઝઘડા બંધ કરી સંકલનથી કામ કરવા તાકીદ કરી છે.
શિક્ષણમંત્રીની આ સલાહની કુલપતિ અને કુલનાયક પર કેવી અસર થશે તે તો આવનારા દિવસોમાં જ સ્પષ્ટ થઈ જશે. (૩૭.૧૫)