કોંગ્રેસે રસ્તા-ખાડા અંગે હવન કરી ભારતીય સંસ્કૃતિનું હનન કર્યુઃ બીનાબેન આચાર્ય
લોકોને ભરમાવી રાજકીય અસ્તિત્વ ટકાવવા કોંગ્રેસ હવાતિયા મારવાનું બંધ કરેઃ મેયરના ચાબખા
રાજકોટ,તા.૧૪: ચાલુ વર્ષે મેઘરાજાની અસીમ કૃપાથી રાજકોટમાં તેમજ સમગ્ર રાજયમાં ખૂબ જ સારો વરસાદ થયેલ છે. ખાસ તો રાજકોટની વાત કરીએ તો છેલ્લાં ૭૦ વર્ષનો વરસાદનો રેકોર્ડ તૂટ્યો છે. પીવાના પાણીનો તો કોઈ પ્રશ્ન જ રહ્યો નથી. શહેર માટે સુખમય અને આનંદના દિવસો આવ્યા છે. હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રસ્તા મરામતનુ કામ હાલમાં ચાલુ છે. તેમજ પેવર અને રી-કાર્પેટના કામો માટેનો સર્વે પણ થઇ ચુકયો છે. રસ્તા વહેલાસર મરામત થાય તે માટે શાસક પક્ષ અને તંત્ર ચિંતિત છે.ચોમાસાની સત્ત્।ાવાર વિદાઈ ટૂંક સમયમાં જ થતાજ રસ્તાની કામગીરી શરૂ થનાર છે. ત્યારે કોંગ્રેસના મિત્રો પણ આ હકિકતથી વાકેફ હોવા છતાં પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા રીતસર હવાતિયા મારી લોકોને ભરમાવવાનો હીન પ્રયત્ન કરી રહ્યા છે.તેમ મેયર બિનાબેન આચાર્યએ આક્ષેપો કર્યા હતા.
આ અંગેં મેયરશ્રીએ જણાવેલ કે, કોંગ્રેસના મિત્રો દ્વારા આજરોજ રસ્તા-ખાડા બાબતે હવનનુ જે કૃત્ય કર્યું છે. તે ભારતીય સંસ્કૃતિનુ હનન કરવા સમાન છે. હવનનુ એક ધાર્મિક સાંસ્કૃતિક મહાત્મ્ય છે. લોકોની ધાર્મિક આસ્થા સાથે તેનો સીધો સંબંધ છે, ત્યારે કોંગ્રેસએ આવી છીછરી હરકત કરી છે. તે બદલ શહેરીજનો તેને કદાપી માફ નહિ કરે.