રાજકોટ
News of Friday, 14th September 2018

''જયદેવ જયદેવ જય મંગલમૂર્તી દર્શનમાત્રે મનકામના પુરતી... જયદેવ જયદેવ...''

મંગલમૂર્તિના આરતી પૂજનમાં રત બનતુ રાજકોટ

શેરીએ શેરીએ અને ચોકે ચોકે પંડાલ સમીયાણાઓનું નિર્માણ : રોશની અને ધજા પતાકાના અનેરા શણગાર

રાજકોટ તા. ૧૪ : ગઇકાલે વાજતે ગાજતે વિઘ્નહર્તા દેવના સામૈયા કરી સ્થાપન કરાયા બાદ પૂજન મહાઆરતીના કાર્યક્રમોમાં રાજકોટ રત બન્યુ છે. દરરોજ સવાર સાંજ આરતી પૂજનમાં દર્શનાર્થીઓની ભીડ જામવા લાગી છે.

 

દસેય આંગળીએ દુંદાળા દેવને ભજવા રાજકોટ ઓળઘોળ બન્યુ છે. ત્રિકોણબાગ, રેસકોર્ષ મેદાન, રણછોડનગર, યુનિ.રોડ, રૈયા રોડ સહીતના વિસ્તારોમાં સ્થાપન કરાયેલ ગણેશજીના સાનિધ્યમાં સાંજ પડેને ગણેશ ભકિતમાં લોકો સરી પડે છે. મહાઆરતી અને પ્રસાદ વિતરણ તેમજ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભકિત સંગીત પીરસાઇ રહ્યા છે.

કરણપરા શેરી નં. ૨૩ માં ગણપતિદાદાનું સ્થાપન

કરણપરા શેરી નં. ૨૩ બસ સ્ટેન્ડ પાછળ, કનકરોડની બાજુમાં ગણપતિ દાદાનું સ્થાપન કરી નવદિવસીય મહોત્સવનું આયોજન કરાયુ છે. દરરોજ પ્રસાદ વિતરણ અને વિવિધ કાર્યક્રમો થકી દાદાની આરાધના કરવામાં આવી રહી છે. સમગ્ર મહોત્સવને સફળ બનાવવા પ્રમુખ સિધ્ધાર્થ ચાવડીયા, તુષાર જાદવ, ચેતન જાદવ, વીડીભાઇ, રેખાબેન જાદવ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વચ્છતા સંદેશ સાથે ગણેશોત્સવ

બ્રહ્માકુમારીઝના મુખ્ય પ્રશાસિકા દાદાી જાનકીજીને સ્વચ્છ ભારતના અભિયાનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બ્રાન્ડ એમ્બેસેડર નિયુકત કરેલ છે. ત્યારે હાલ ગણેશ ઉત્સવોમાં પણ સ્વચ્છતાનો સંદેશો પ્રસરાવવા બ્રહ્માકુમારીઝ સેન્ટર દ્વારા અભિયાન હાથ ધરાયુ છે. શહેરના સેવાકેન્દ્રો પંચશીલ સોસાયટી, રણછોડનગર, રાજનગર, અવધપુરી, શાસ્ત્રીનગર, ગાયકવાડી, ભોજલરામ, જાગનાથ વગેરે સ્થાનો પર સ્વચ્છતા રેલી, નારા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી, આધ્યાત્મિક પ્રવચન સહીતના કાર્યક્રમો અપાશે. આમ તા. ૧૩ થી  સ્વચ્છતા સંદેશ સપ્તાહનો જયોતિ દર્શન, ૧-પંચશીલ સોસા., દોશી હોસ્પિટલ સામે, ભારતીદીદી અને ગણમાન્ય અતિથિઓની ઉપસ્થિતીમાં પ્રારંભ કરાવાયો છ.ે (૧૬.૨)

(4:04 pm IST)