શહેરમાં સફાઈ તંત્રની બેદરકારીઃ રોગચાળો વકર્યોઃ કોંગ્રેસ
વોર્ડ નં. ૧૦નાં સત્ય સાંઈ, વૃંદાવન રોડ, રામ પાર્ક, શકિતનગર સહિતના વિસ્તારો ગંદકીમાં ખદબદે છેઃ વિપક્ષી ઉપનેતા મનસુખ કાલરીયાના આક્ષેપો
રાજકોટ, તા. ૧૪ :. શહેરમાં મ્યુ. કોર્પોરેશનનાં સફાઈ તંત્રની બેદરકારીથી અનેક વિસ્તારોમાં ગંદકીમાં ગંજ ખડકાયા છે પરિણામે માખી-મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો વકરી રહ્યો છે તેવા આક્ષેપો વિપક્ષના ઉપનેતા મનસુખભાઈ કાલરિયાએ કર્યા છે.આ અંગે મનસુખભાઈએ નિવેદનમાં જણાવ્યુ છે કે કમળો, મેલેરિયા, ડેન્ગ્યુ, સ્વાઈન ફલુ જેવા રોગોએ શહેરને ભરડામાં લીધુ છે. આરોગ્ય તંત્રની બેદરકારી તો છે જ આવા વખતે પણ મનપાનું સફાઈ તંત્ર પણ ઘોર નિંદ્રામાં છે. વોર્ડ નં. ૧૦ સહિત શહેરના અનેક વિસ્તારોમાં સફાઈ નિયમિત થતી ન હોવાની ઢગલા બંધ ફરીયાદોને સફાઈ તંત્ર ગંભીરતાથી લેતુ નથી.શ્રી કાલરિયાએ જણાવ્યુ છે કે, વોર્ડ નં. ૧૦ના સત્ય સાંઈ રોડ, વૃંદાવન મેઈન રોડ, પુષ્કરધામ રોડ, રામપાર્ક, શકિતનગર સોસાયટી, બાલમુકુંદ પટેલ, આફ્રિકા કોલોની જેવા અનેક વિસ્તારોમાં ઠેર ઠેર કચરો-ગંદકીના ઢગલા જોવા મળે છે. સ્થાનિકોની ફરીયાદો તથા કોર્પોરેટરની વારંવારની રજૂઆતો છતા સફાઈ નિયમીત થતી નથી.
નિવેદનના અંતે જણાવાયુ છે કે, આવા વિસ્તારોમાં સફાઈ કરાવી, મેલેથીઓન પાવડરનો છંટકાવ કરાવવા તથા ઘરે ઘરે ફોંગીંગ કરાવવાની માંગ ઉઠી હોય તાકીદે કાર્યવાહી કરવા કોંગી કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયાએ અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરેલ છે.