૨૨મીએ ભાજપની પ્રદેશ કારોબારીઃ સરકારી યોજનાઓમાં સંગઠનને જોડવાના કાર્યક્રમો
અટલજીને શ્રધ્ધાંજલી અપાશેઃ આયુષ્યમાન ભારત સહિતની યોજનાઓની ચર્ચા
રાજકોટ, તા. ૧૪ :. ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક ૨૨ સપ્ટેમ્બરે પ્રદેશ કાર્યાલય ખાતે મળશે. તેના પૂર્વ દિને પ્રદેશ હોદેદારોની બેઠક મળશે. લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને કાર્યક્રમો ઘડાશે. અટલજીના નિધન પછી પ્રથમ વખત કારોબારી મળી રહી હોવાથી તેમના માનમાં શ્રધ્ધાંજલી ઠરાવ થશે.
સામાન્ય રીતે ભાજપની રાષ્ટ્રીય કારોબારી બાદ અઠવાડીયા પછી પ્રદેશની કારોબારી મળતી હોય છે. અગાઉ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનને કારણે તેમજ મોદીના પ્રવાસના કારણે બે વખત કારોબારી મુલત્વી રખાઈ હતી.
૨૨મીએ મળનારી કારોબારીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મોટાભાગના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો, જિલ્લાના પ્રમુખો-મહામંત્રીઓ, વિવિધ મોરચા - સેલના કન્વીનરો વગેરે સહિત ૩૦૦ જેટલા આગેવાનો હાજર રહેશે. આ કારોબારી ૨૦૧૯ની ચૂંટણીને લઈને ખૂબ મહત્વની છે. ચૂંટણી આડે હજુ સાતેક મહિનાનો સમય બાકી છે ત્યારે તે સંબંધિત કાર્યક્રમોની ચર્ચા-વિચારણા કરાશે. ભાજપ સંગઠન દ્વારા રાજ્યમાં કયાં અને કેવા પ્રકારના કાર્યક્રમો વ્યવસ્થાઓ કરવી તેની ચર્ચા થશે. ઉપરાંત સૌથી મહત્વની વાત ગુજરાતના તમામ ૨૬ બેઠકો જાળવી રાખવાની છે. જેના માટે ભૂતકાળમાં કયા આગેવાનોએ કેવું અને શું કામ કર્યુ તેનો હિસાબ-કિતાબ નેતાઓ લેશે. ત્યાર બાદ મુખ્યમંત્રી-પ્રદેશ પ્રમુખ વગેરે દ્વારા અગ્રણીઓને માર્ગદર્શન પણ અપાશે.
કેન્દ્ર સરકાર દ્વારા નવી આવી રહેલી આરોગ્ય વિષયક 'આયુષ્યમાન ભારત' યોજનામા ં સંગઠનને જોડવાની ચર્ચા થશે.