યુનિવર્સિટીની પરીક્ષામાં ઈડબલ્યુએસના છાત્રોને ૫ ટકાની છૂટ આપવા માંગ
સેનેટર રશ્મીન પટેલ દ્વારા કુલપતિને થયેલી રજૂઆત
રાજકોટ, તા. ૧૪ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેમેસ્ટર રશ્મીન પટેલે કુલપતિને પત્ર પાઠવી ઈડબલ્યુએસના છાત્રોને ૫ ટકા છુટ આપવા માંગ કરી છે.
સેનેટર રશ્મીન પટેલે જણાવ્યુ છે કે, ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા આર્થિક રીતે પછાત વર્ગોના લોકોને (ઈડબલ્યુએસ) કેટેગરી તરીકે અનામતનો લાભ આપવામાં આવેલ છે, પરંતુ હાલમાં (ઈડબલ્યુએસ) કેટેગરીમાં આવતા વર્ગોના વિદ્યાર્થીઓને જે એસ.ટી., એસ.સી. કે ઓ.બી.સી.ને અપાતા પાંચ ટકા (૫ ટકા)ની છૂટ આપવામાં આવે છે, પરંતુ આર્થિક રીતે પછાત વર્ગો (ઈડબલ્યુએસ)ને આવી પાંચ ટકાની છૂટ આપવામાં આવતી નથી. યુનિવર્સિટી દ્વારા લેવાતી વિવિધ પ્રવેશ પરીક્ષાઓમાં માંગણી છે કે આર્થિક રીતે પછાત વર્ગો (ઈડબલ્યુએસ)ના કેટેગરીના વિદ્યાર્થીઓને પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાતી વિવિધ પ્રવેશ પરીક્ષામાં પાંચ ટકા ગુણની છુટ આપવામાં આવે. જેથી (ઈડબલ્યુએસ) કેટેગરીના વિદ્યાર્થીઓને પણ લાભ મળી રહે. જી.પી.એસ.સી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જેવી રાજ્ય સરકારની ભરતી એજન્સીઓ દ્વારા પણ ઈડબલ્યુએસ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને એસ.સી., એસ.ટી., ઓ.બી.સી.ને આપતા લાયકી ગુણમાં પાંચ ટકાની છૂટ આપવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હવે પછી લેવાતી વિવિધ પ્રવેશ પરીક્ષામાં આર્થિક રીતે પછાત વર્ગો (ઈડબલ્યુએસ)ના વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષામાં પાંચ ટકા ગુણની છુટ આપવામાં આવે તેવી માંગણી સેનેટર રશ્મીન પટેલે કરી છે.