રાજકોટ
News of Wednesday, 14th August 2019

૮ દિ'માં ખેડૂતોને વીમો આપો, નહિં તો જોયાજેવી

રાજય સરકારે ખાતરી આપ્યાના બે મહિના વિતી ગયા છતાં ખેડૂતોને કપાસ વીમો મળ્યો નથીઃ ડી.કે. સખીયાની ચેમ્બરમાં જ આમરણાંત ઉપવાસની ચિમકીઃ રાષ્ટ્રપતિને પત્ર લખીને જણાવશે કે ખેડૂતોને હકક હિસ્સા આપો નહિં તો આત્મહત્યા કરવા મંજૂરી આપોઃ ''અકિલા'' કાર્યાલયે હૈયા વરાળ ઠાલવતા ખેડૂતો

રાજકોટ,તા.૧૪: ખેડૂતોને કપાસનો વીમો હજુ સુધી મળ્યો નથી. ''અકિલા'' કાર્યાલયે હૈયાવરાળ ઠાલવતા ખેડૂતોએ જણાવેલ કે આ અગાઉ પણ વીમા પ્રશ્ને આમરણાંત ઉપવાસ કરેલા. ત્યારબાદ રાજય સરકારે ૧ મહિનામાં વીમો ચુકવી દેવાની ખાતરી આપતા ઉપવાસ પૂર્ણ કર્યા હતા. આમ છતાં બે- બે મહિના વિતી ગયા હોવા છતાં ખેડૂતોને પાક વીમો મળ્યો નથી. આઠ દિવસમાં વીમો ચુકવવામાં નહિં આવે તો ફરીથી આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

 

ખેડૂતોએ જણાવેલ કે અમે રાષ્ટ્રપતિશ્રીને પત્ર લખીશું કે અમોને અમારા હકક હિસ્સા આપો નહિં તો આત્મહત્યા કરવાની મંજૂરી આપો અને આ વખતે તો તમામ ખેડૂતો ડી.એ.સખીયાની જ ચેમ્બરમાં આમરણાંત ઉપવાસ કરીશું.

ભારતીય કિસાન સંઘને વારંવાર વ્યાજબી માંગણી તથા સરકારશ્રી તરફથી ખાત્રીનું ઉલંઘન વીમા કંપની દ્વારા કરવામાં આવી રહેલ છે જેની સામે સરકારશ્રી વીમા કંપની સામે કોઈપણ પગલા લેતી નથી એટલે સરકારશ્રી અને વીમા કંપનીઓની મીલી ભગત હોવાનું ખેડૂતો સ્પષ્ટપણે અને આક્રોશપૂર્વક માને છે.

કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુએ પણ મીડિયા સમક્ષ જાહેર કરેલું કે ખેડૂતોને જુલાઈના અંત સુધીમાં વીમો આવી જશે. ખેડૂતોને મોડો વીમાના વ્યાજ સહીત ચુકવણું કરવામાં આવશે. પણ તેના પણ આજે બે મહિના કરતા વધારે સમય થવા છતાં, હજી પણ વીમા કંપની દ્વારા કોઈપણ પ્રકારની વીમો ચુકવણાની જાહેરાત થઈ નથી, તેમ છતાં કૃષિમંત્રી શ્રીએ પણ વીમા કંપની સામે કેમ કોઈ પ્રકારની કાર્યવાહી કરી નથી તે ખેડૂતોને સમજાતું નથી.

આ રીતે સરકારશ્રી વીમા કંપની સાથે મળીને ખેડૂતોના પ્રશ્ને જે આંખ આડા કાન કરે અને મોઢું ફેરવી લે તે કેટલે અંશે વ્યાજબી, આ રીતે ખેડૂતો પ્રશ્નેનો બાબતે ઉદાસીનતા બેદરકારી કયા સુધી ચાલ છે એ બાબતમાં ખેડૂતો અને લોકો વિચારતા થયા છે અને સરકારની નીતિ પ્રતિએ પણ શંકા સેવી રહ્યા છે. ખેડૂતોના મામલામાં સરકાર પ્રતિએ શંકા સેવાઈ રહી છે.

સરકારશ્રી આ બાબતે કોઈ બેદરકારી કે ઢીલી નીતિ તથા વીમા કંપની સાથે સાઠગાંઠ નથી તેની નિર્દોષતા સાબિત થાય તે રીતે પાક વીમો ચુકવવાની અખબારી જાહેરાત કરે એવી ભારતીય કિસાન સંઘે લાગણી સાથેની માંગણી છે. તેમ ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયા, રમેશભાઈ ચોવટીયા (મો.૯૯૨૫૫ ૭૭૨૭૨), પ્રભુદાસભાઈ મણવર, મનોજ ડોબરિયા, જીવનભાઈ વાછાણી, ઠાકરશીભાઈ પીપળીયા, શૈલેષભાઈ સીદપરા, કિશોરભાઈ લકકડ, કિશોરભાઈ સગપરીયા, મુકેશભાઈ રાજપરા, ઝાલાભાઈ રાતડીયા, ભૂપતભાઈ કાકડીયા, ઉકાભાઈ ગોંડલીયા, દીપક લીંબાસીયા, ભાવેશ રેયાની, રમેશભાઈ હાપલીયા, ધર્મેશભાઈ સોરઠીયા, અશોકભાઈ મોલીયા, શાંતિલાલ વેગડ, તેમજ મનસુખભાઈ ચોવટીયાએ યાદીમાં જણાવ્યું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(12:13 pm IST)