જન્માષ્ટમીના તહેવારોમાં એસ.ટી. દ્વારા વધુ ૧૦૦ બસ દોડાવાશે
સોમનાથ-કચ્છ અને અમદાવાદનાં રૂટ ઉપર સર્વે કરી વધારાની બસ મુકવા આદેશો
રાજકોટ, તા. ૧૩ : આગામી જન્માષ્ટમી તહેવારો અને હાલના શ્રાવણ માસને ધ્યાને લઇ રાજકોટ એસટી વિભાગે સંચાલન હેઠળના તમામ ડેપો મેનેજરોની મીટીંગ બોલાવીને ટ્રાફિકના પ્રમાણમાં વધારાના એકસ્ટ્રા રૂટ ચાલુ કરવા જણાવ્યું છે. જે અન્વયે ટ્રાફિક વાળા સોમનાથ, અમાવાદ અને કચ્છ તરફના રૂટો વધારવામાં આવશે.
એસટી સુત્રોના જણાવ્યા મુજબ દરેક ડેપોને શ્રાવણ માસ અને જન્માષ્ટમી લોકમેળા નિમિત્તે વધારાના પ-પ રૂટો ચલાવવા સુચના અપાઇ છે. રાજકોટ અને ગોંડલ ડેપો સોમનાથ, જુનાગઢ, અમદાવાદના વધારાના રૂટો દોડાવશે. દરેક ડેપોને ચાર ચાર વધારાનાં બસ વાહનો ફાળવવામાં આવ્યા છે. રાજકોટ ડીવીઝનમાં ચોટીલા, ધ્રાંગધ્રા, ગોંડલ, જસદણ, લીમડી, મોરબી અને રાજકોટ તેમજ વોલ્વો ડેપો, સુરેન્દ્રનગર, વાંકાનેર ડેપો આવે છે. આમ બધા ડેપો મળીને કુલ ૪૦ વાહનો ફાળવવામાં આવશે. અને બસ સ્ટેશનમાં આ ઓનલાઇનના ટ્રાફિકનો સર્વે કરાવી મેળારૂટ અને યાત્રાધામના રૂટો શરૂ કરાશે.