જાહેર રસ્તામાં સેલરનું પાણી બહાર કાઢનાર ૯ કોમ્પલેક્ષોનાં પંપ જપ્ત
રાજકોટ, તા.૧૩: શહેરમાં વસતા લોકોની સુખાકારી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાંધકામ, રસ્તા, ડ્રેનેજ, વોટર વર્કસ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, સફાઈ, આરોગ્યને લગત મૂળભુત પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. શહેરમાં અગાઉનાં વર્ષો દરમિયાન પડેલ વરસાદનાં આંકડા જોતા, છેલ્લાં બે-ત્રણ વર્ષથી સરેરાશ કરતા વધુ વરસાદ પડે છે, જેનાં લીધે નાગરીકોનાં માલ-મિલકત તથા જાન-માલને થતું નુકશાન અટકાવવા અને મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવી રહેલ ઉકત પ્રાથમિક સુવિધાઓ સાતત્યપૂર્ણ રીતે વિના વિક્ષેપે જળવાઇ રહે તે ખૂબ જરૂરી છે. શહેરમાં જે-તે આસામીઓ દ્વારા સેલર કે ચાલુ બાંધકામ સાઇટનાં પાયાનાં ખોદાણમાંથી જાહેર રસ્તા પર પાણી નિકાલ કરતા જણાયેથી તેઓને લેખિત તાકિદ કરી, ડી-વોટરીંગ મશીનરી જપ્ત કરી નિયમાનુસાર દંડનીય કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ આદેશ આપ્યો છે. જેના પગલે આજે સેન્ટ્રલ ઝોનમાં ૮ અને ઈસ્ટ ઝોનમાં ૧ પંપ સીઝ કરવામાં આવેલ છે.
સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૧૪માં ગીતાનગર-૬માં મીત બિલ્ડર દ્વારા તેમની સાઈટ ખાતે ભરાયેલા પાણીનો રોડ પર નિકાલ કરવામાં આવી રહયો હોવાનું જણાતા તેમનો ડીવોટરિંગ પંપ સીઝ કરાયો હતો, જયારે વોર્ડ નં.૭માં ડો. યાજ્ઞિક રોડ પર કોટક મહિન્દ્રા બેંકવાળા બિલ્ડિંગમાંથી ૧, તેની બાજુમાં આવેલ ઓપ્શન શો રૂમવાળા બિલ્ડિંગમાંથી ૧, એ.જી.એમ. જીમવાળા બિલ્ડિંગમાંથી ૧, ટાગોર રોડ પર ડો. આશિષ વેકરીયાની હોસ્પિટલવાળા બિલ્ડિંગમાંથી ૧, એસ્ટ્રોન ચોકમાં, નચિકેતાની બાજુમાં મારૂતી મેનોર કોમ્પ્લેકસમાંથી ૧ અને ભાલોડીયા સ્કૂલ સામે હરી પેલેસવાળા બિલ્ડિંગમાંથી ૧ પંપ, તથા ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.૫ માં રણછોડનગર – ૧૦ માં ઙ્કબોમ્બે હાઈટ્સઙ્ખ કન્સ્ટ્રકશન સાઈટ ખાતેથી પણ રોડ પર પાણી છોડવામાં આવતા હોવાનું જોવા મળતા પંપ સીઝ કરવામાં આવેલ છે.
દર વર્ષે ભારે વરસાદને કારણે શહેરમાં સ્થાનિક લોકો તથા બિલ્ડરો દ્વારા હયાત સેલરો તથા નવા બનતા બિલ્ડીંગનાં પાયાનાં ખોદાણમાં ભરાયેલ પાણીનો શહેરનાં મુખ્ય/આંતરીક રસ્તાઓ પર તથા ભૂગર્ભ ગટરમાં
ડી-વોટરીંગ કરીને નિકાલ કરતા હોવાનું ધ્યાને આવેલ છે. આ રીતે પાણીનાં નિકાલને કારણે રસ્તાઓને ખૂબ જ નુકશાન થાય છે જેથી નાગરિકોને અવર-જવરમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમજ ટ્રાફિકની સમસ્યાઓ પણ ઉદ્દભવે છે. આ ઉપરાંત સદરહુ પાણી ભૂગર્ભ ગટરમાં નિકાલ કરવાને કારણે હયાત ભૂગર્ભ ગટરની પાઇપલાઇનોમાં ઓવર કેપેસીટીને કારણે મેનહોલ ઉભરાવાની સમસ્યા ઉદ્દભવે છે તથા ડ્રેનેજ પાઇપલાઇનો દિવસો સુધી હેડીંગ થવાના કારણે ભૂગર્ભ ગટરનાં ગંદા પાણી ઉભરાઇને રસ્તા ઉપર ફેલાય છે, જેનાં કારણે લગત વિસ્તારોમાં ગંદકી ફેલાવાને લીધે લોકોનું આરોગ્ય જોખમાય છે.
ઉપરોકત સમગ્ર બાબતો ધ્યાને લેતાં, શહેરમાં જે-તે આસામીઓ દ્વારા સેલર કે ચાલુ બાંધકામ સાઇટનાં પાયાનાં ખોદાણમાંથી જાહેર રસ્તા પર પાણી નિકાલ કરતા જણાયેથી તેઓને લેખિત તાકિદ કરી, ડી-વોટરીંગ મશીનરી જપ્ત કરી નિયમાનુસાર દંડનીય કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ આદેશ આપ્યો છે.
ઉકત કામગીરીની કડક અમલવારી જે-તે ઝોનનાં ટાઉન પ્લાનીંગ, બાંધકામ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, આરોગ્ય તથા જગ્યા રોકાણ શાખા દ્વારા સંલગ્ન ઝોનનાં નાયબ કમિશનરશ્રીઓનાં સીધા સુપરવિઝન હેઠળ સંયુકત રીતે કરવામાં આવી રહી છે.