ભાજપ દ્વારા સદસ્યતા વૃધ્ધિ અભિયાનઃ કાલે ૩૧૮ શકિતકેન્દ્રો આવરી લેવાશે
રાજકોટઃ શહેર ભાજપ દ્વારા સદસ્યતા વૃધ્ધિ અભિયાનનો આવતીકાલે તા. ૧૫મી ઓગષ્ટના સાંજે ૪ કલાકે પ્રારંભ થનાર છે. વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના નેતૃત્વમાં પ્રદેશ કાર્યાલય ખાતે એક બેઠક યોજાઇ હતી. જેમાં આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું અને સદસ્યતા વૃધ્ધિ અભિયાન રાજયભરના શકિતકેન્દ્રો અને બુથવાઇઝ થાય તેમજ આ અભિયાનમાં ભાજપ અને તેના વિવિધ મોરચાઓના કાર્યકર્તાઓ જોડાય અને આ કાર્યક્રમનો પ્રચાર-પ્રસાર થાય તે માટે વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપવામાં આવેલ છે. તેની તૈયારીના ભાગરૂપે શહેર ભાજપ કાર્યાલય ખાતે કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, રાષ્ટ્રીય અનુ.જાતિ મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા, ભીખાભાઇ વસોયાની ઉપસ્થિતિમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સાંધિક ગીત શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન ઢીંડીયાએ કરાવ્યું હતું. આવતી કાલે શહેરના પ્રભારી પુષ્પદાનભાઇ ગઢવી, રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતિમાં વોર્ડ નં. ૮ના સીલ્વર સ્ટોન અને સીલ્વર સેન્ડ અને ઓસ્કાર ટાવર, રોયલ એવન્યુ ખાતેના બુથ નં. ૧૮૧માં સદસ્યતા વૃધ્ધિ અભિયાનનો કાર્યક્રમ યોજાશે. આ સાથે શહેરના તમામ ૩૧૮ શકિતકેન્દ્રો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ યોજાશે. આ બેઠકમાં શહેર ભાજપના હોદેદારો, તમામ વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રીઓ, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિ સદસ્યો તેમજ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ ઉપસ્થિત રહયા હતા. આ બેઠકની સંપૂર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ તેમજ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળેલ હતી.