સિવીલ હોસ્પિટલમાં એક સાઇડ પ્રવેશબંધીથી ભારે હાલાકી : મનીષાબા વાળા
રાજકોટ તા. ૧૪ : શહેરની સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓની અવર જવર રહેતી હોય છે. ત્યારે સીકયુરીટી એજન્સીઓના અવિચારી નિર્ણયથી એક સાઇડનો પ્રવેશદ્વાર બંધ કરી દેવાતા દર્દી અને તેમના સગાસ્નેહીઓને પારાવાર હાલાકી ભોગવવી પડતી હોવાનો આક્રોશ શહેર કોંગ્રેસ મહિલા સમિતિના કાર્યકારી પ્રમુખ મનીષાબા વાળાએ વ્યાકત કર્યો છે. તેઓએ એક યાદીમાં જણાવ્યુ છે કે અધિકારીઓની પરવાની લીધા વગર સીકયોરીટી એજન્સીએ હોસ્પિટલના બે ગેઇટ પૈકી એક ગેઇટ પર અચાનક પ્રવેશ બંધી ફરમાવી દેતા વરસતા વરસાદ વચ્ચે અનેક લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. ટ્રાફીક સમસ્યા હળવી કરવાને બદલે લોકો-દર્દીઓ-તેમના સગાઓની યાતના વધે તેવો નિર્ણય કોણે લેવડાવ્યો? તેવો સવાલ મનીષાબા વાળાએ ઉઠાવી જણાવ્યુ છે કે આ બાબતે અમે પોલીસ કમિશ્નર, જિલ્લા કલેકટર, સિવીલ સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર પાઠવી રજુઆત કરીશુ. વહેલીતકે આ સમસ્યાનો હલ લાવવામાં આવે તેવી લાગણી મનીષાબા વાળા (મો.૯૯૦૯૬ ૩૬૧૨૮) એ વ્યકત કરી છે. (૧૬.૫)