રાજકોટ
News of Thursday, 14th June 2018

જનરલ બોર્ડની પ્રશ્નોતરીમાં ડિમોલીશન મુદ્દે વિપક્ષ તુટી પડશે

કાલે સવારે યોજાનારી બોર્ડ બેઠકમાં ભાજપ-કોંગ્રેસનાં ૧૮ કોર્પોરેટરોએ પુછેલા ૩ર પ્રશ્નોમાંથી માત્ર એક-બે પ્રશ્નો જ ચર્ચાશે

રાજકોટ, તા., ૧૪:  આવતીકાલે તા.૧પ નાં સવારે ૧૧ વાગ્યે મ્યુનીસીપલ કોર્પોરેશનનું જનરલ બોર્ડ યોજાનાર છે. જેમાં  યોજાનાર પ્રશ્નોતરીમાં સૌ પ્રથમ વિપક્ષ્ના કોર્પોરેટરે પુછેલા ડિમોલીશનનાં પ્રશ્નની ચર્ચા હાથ ઉપર લેવાશે. આથી વિપક્ષ કોંગ્રેસ ડિમોલીશન અંગે શાસકો સામે આક્ષેપબાજીઓનો મારો ચલાવીને તુટી પડશે.

જનરલ બોર્ડમાં ભાજપ-કોંગ્રેસના કુલ ૧૮ કોર્પોરેટરો દ્વારા પ્રશ્નો પુછવામાં આવનાર છે. જેમાં શહેરમાં થયેલ ડીમોલીશન તેમજ ભુગર્ભ ગટર (ડ્રેનેજ)ની સફાઇના અભાવે થઇ રહેલી ગંદકી સહીતના વિવિધ પ્રશ્નો રજુ થશે. સૌ પ્રથમ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દ્વારા પુછાયેલ ડીમોલીશન, બજેટની યોજનાઓ  અને રોડના નામકરણ સહિતના પ્રશ્નોની ચર્ચા થશે. તેમજ બોર્ડના એજન્ડામાં સમાવિષ્ટ નવા મેયરની ચુંટણી, સ્ટેન્ડીંગ કમીટીના ૧ર સભ્યોની નિમણુંક તથા ડેપ્યુટી મેયરની ચુંટણી  તથા અન્ય ૧૫ ખાસ સમીતીઓની રચના તેમજ વેરામાં વળતર યોજનાની મુદત લંબાવવા તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાનના શુધ્ધ કરેલ પાણીનો પુનઃ વપરાશ (વોટર રી-સાયકલીંગ) સહીત ૬ દરખાસ્તો અંગે બોર્ડમાં નિર્ણય લેવાશે.

પ્રશ્નોતરીમાં કોંગ્રેસના વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર દરા ગાર્ડન શાખાના બજેટ અંગે, ર૦૧૬થી ૩૧મી મે-ર૦૧૮ સુધીમાં ડીમોલીશન અંગે અપાયેલ નોટીસો તથા કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રસ્તાવોના નામકરણો અંગે રીઝર્વ પ્લોટો અંગેના પ્રશ્નો રજુ થયા છે તથા વોર્ડ નં. ૧૩ના કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ જીવરાજ પાર્કની બાજુમાં મંજુર થયેલ ૩ બ્રીજના કામો વિલંબ અંગે તથા જીવરાજ પાર્કમાં સફાઇ અંગેના પ્રશ્નો રજુ થયા છે.

વિપક્ષ કોંગ્રેસના ઉપનેતા અને વોર્ડ નં. ૧૦ના કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાએ કોર્પોરેશનની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પરીણામ અંગે તથા દુષીત પાણી અંગે, કાર્પેટ વેરાના બીલ નહિ મળવા અંગે વિ. પ્રશ્નો  રજુ કર્યા છે. તથા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાને શહેરમાં કેટલા ડીમોલીશન થયા? તથા કેટલી નોટીસો અપાઇ? તે અંગે તેમજ શહેરમાં ઓપો અને વીવો મોબાઇલ કંપનીના કેટલા હોર્ડીંગ બોર્ડ લાગેલા છે? કેટલાની મંજુરી છે? કેટલાનો દંડ વસુલ્યો? વિગેરે પ્રશ્નો રજુ થયા છે. જયારે કોંગ્રેસના વોર્ડ નં. ૧પ ના કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ ડીમોલીશન અંગે કેટલી નોટીસ અપાઇ છે? તથા  ટીપી  વિભાગે  કેટલા મકાનોને કંમ્પલીશન સર્ટીફીકેટ આપ્યા છે? વિગેરે પ્રશ્નો રજુ કર્યા છે.

ભાજપના ૧૦ કોર્પોરેટરોએ પુછેલા પ્રશ્નો

કાલે મળનાર જનરલ બોર્ડમાં ભાજપના વિજયાબેન વાછાણીએ પાણી વિતરણ અંગે તથા અજયભાઇ પરમારે જગ્યા રોકાણ બાબતે, જયૈમીનભાઇ ઠાકરે બાંધકામ, બાગ-બગીચા, રોશની અને ફાયર બ્રિગેડને લગત પ્રશ્નો રજુ કર્યા તથા દલસુખભાઇ જાગાણીએ બાગ-બગીચા, વર્ષાબેન રાણપરાએ ટાઉન પ્લાનીંગ, અશ્વીન ભોરણીયાએ રોશની વિભાગ, શિલ્પાબેન જાવીયાએ બાંધકામ વિભાગ અને બીનાબેન આચાર્યએ વેરા વસુલાત તથા આવાસ યોજના અંગે તથા અનિતાબેન ગોસ્વામીએ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે વિગેરે સહિત ૧૦ કોર્પોરેટરોએ ૧૩ પ્રશ્નો રજુ કર્યા છે.

આમ આગામી જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના કુલ ૧૮ કોર્પોરેટરોએ ૩ર પ્રશ્નો પુછયા છે. પરંતુ તે પૈકી માત્ર પ્રથમ પ્રશ્નની જ ચર્ચા થઇ શકશે. કેમ કે એજન્ડામાં મેયર સહિતના પદાધિકારીઓની ચુંટણીની દરખાસ્ત પણ છે.

(4:26 pm IST)