રાજકોટ
News of Thursday, 14th June 2018

ખંઢેર બની રહેલ ભવ્ય સંસ્કૃતિને બચાવવા રૂપાણી સરકાર ત્વરીત પગલા લ્યે તેવી લાગણી

દેશ- વિદેશથી આવતા ઈતિહાસપ્રેમી મુલાકાતીઓ : ભારતના વડાપ્રધાને ચીનના રાષ્ટ્રપતિને ચિત્ર પ્રદર્શનમાં ખંભાલીડાની બૌદ્ધ ગુફાની જાણકારી આપેલ : દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિનની પરેડમાં ગુજરાત દ્વારા આ બૌદ્ધગુફાનો ટેબ્લો પ્રદર્શિત કરાયેલ : પ્રાચીન શિલ્પો ખવાતા જાય છે : બેસવાની, પાણીની તેમજ ટોઈલેટની સુવિધાનો રજૂઆતો બાદ પણ અભાવ : મુખ્યમંત્રી કાર્યાલય તરફથી મોકલાયેલ પત્રનો પણ પુરાતત્વ મંત્રીના કાર્યાલય દ્વારા ઉડાવ જવાબ : ૧૮૦૦ વર્ષ પ્રાચીન બૌદ્ધ ગુફાને પ્રદર્શિત કરવાનું મહત્વ સમજાય છે, સાચવવાનું નહિં - પરેશ પંડ્યા : સરકાર સંસ્કૃતિ બચાવવા હવે કયારે સક્રિય થશે?: જયાબહેન ફાઉન્ડેશન દ્વારા ૨૦૦૩થી કરાતી સતત રજૂઆતો

રાજકોટ, તા. ૧૪ : સૌરાષ્ટ્રમાં સેંકડો હજ્જારો વર્ષ પ્રાચીન સંસ્કૃતિના સ્થળો શોધાયેલ છે જેમા અનેક રાજય રક્ષીત સ્મારક જાહેર કરાયેલ છે, આ સ્થળોની જરૂરી રક્ષા સરકાર દ્વારા થતી નથી. શ્રી જયાબહેન ફાઉન્ડેશન ર૦૦૩થી સતત પ્રાચીન સ્થળોની જાળવણી કરાય તે માટે સરકારને રજુઆતો કરી રહેલ છે.

જયાબહેન ફાઉન્ડેડેશનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પરેશ પંડયા જણાવે છે કે ગુજરાત રાજયમાં હાલમાં આ ચોથા મુખ્યમંત્રીશ્રી અને પુરાતત્વ વિભાગના આ છઠ્ઠા મંત્રીશ્રી કાર્યરત છે. જેમની સમક્ષ પણ ૧૮૦૦ વર્ષ પ્રાચીન સુંદર શિલ્પો ધરાવતી ખંભાલીડાની બૌધ્ધગુફા માટે રજુઆત કરવામાં આવે છે. પુરાતત્વ ખાતા પાસે સ્ટાફ નથી અને તેને સંભાડતા મંત્રીશ્રીને પ્રાચીન સંસ્કૃતિમાં રસ નહિ હોય કે કોઇ પણ કારણથી સંસ્કૃતિ બચાવવા, સાચવવા નિસ્ક્રિય સાબીત થાય છે, બહુ અફસોશજનક દુઃખદ બાબત છે કે દોઢ દાયકાની સતત રજુઆત પછી પણ આ જગ્યાએ આવતા મુલાકાતીઓ માટે બેસવાની, પીવાના પાણીની કે ટોઇલેટની સુવિધાઓ આપવામાં આવેલ નથી. પશ્ચિમ ભારતના આ સોથી પ્રાચીન બૌદ્ધ સ્થાપત્યના શિલ્પો ખવાતા જાય છે તેની જરૂરી રક્ષા થતી નથી.

શ્રી પરેશ પંડયા જણાવે છે કે બૌદ્ધ ગુફાની મહત્વતતા, શિલ્પોની જાળવણી, સુવિધાઓ અંગે થયેલ રજુઆત અન્વયે યોગ્ય કાર્યવાહી કરાવને બદલે આવેલ રજુઆતો પત્રોનો ફકત નિકલ કરવાનો હોય તે બાબતનુજ મહત્વ હોય તેવો જવાબ આજ ૧પ વર્ષ પછી પણ પુરાતત્વ ખાતુ સંભાળતા માન. મંત્રીશ્રીના સેકશન અધિકારીએ આપેલ જવાબમાં અનુભવાય છે. નકારાત્મક વલણ સ્પષ્ટ જણાય છે. જે દુઃખદ છે, આ આપણી વિરાસત બાબતે ભારે નુકશાનકારક સાબીત થઇ રહેલ છે. સંસ્કૃતિ સાચવવી તે સરકારની જવાબદારી છે.

પૂર્ણ કદના શિલ્પો ધરાવતી આ એકમાત્ર બૌદ્ધગુફા ગુજરાતમાં છે. શિલ્પો વગરની બીજી છે. ૧૮૦૦ વર્ષ પહેલા કોતરાયેલ અદભુત અમુલ્ય શીલ્પો ખુલ્લા છે જેના પર હવામાનની ખરાબ અસર સતત થઇ રહેલ છે. ખવાતા જાય છે. મુલાકાતીઓ દ્વારા નુકશાન થાય છે, તેવી રજુઆતના જવાબમાં ગાંધીનગર ઓફસમાં બેસીને જેણે સ્થળ તપાસ કરેલ નથી અને જણાવે છે કે પુરાતત્વી સ્મારકની જાળવણીની દ્રષ્ટિએ બધુ યોગ્ય જણાય છે ભાંગી જશે તો જવાબદારી કોની ?

બૌધ્ધગુફાના ઉપરના ભાગે વિશાળ જમીન ૪-પ એકર કમ્પાઉન્ડ વોલ સાથે છે ત્યાં ફુલછોડના બગીચા, લોન ઉગાડવાથી આ પ્રાચીન સ્મારકનું સૌદર્ય વધશે તેનો નકારાત્મક વલણ સાથે જવાબ ઓફીસમાં બેઠેલ કર્મચારી દ્વારા અપાયેલ છે કે બાગ-બગીચાનું નીર્માણ સ્મારકના હિતમાં નથી.પરેશ પંડયા જણાવે છે કે આ પહેલા પુરાતત્વ ખાતાના નિયામકશ્રીએ ફુલછોડના બગીચા થઇ શકે તેવો અભિપ્રાય આપેલ છે. નિરાશાજનક છે કે મંત્રીશ્રીના કાર્યાલય દ્વારા પત્રનો જવાબ આપી નક્કર જરુરી કાર્યવાહી કરવાને બદલે પત્રનો નકારાત્મક જવાબ આપી છટકવાની દાનત માત્ર રખાય છે.

સાફ-સફાઇ માટે ગ્રાન્ટ ઇન એઇડ હેઠળ બૌધ્ધગુફાથી આશરે ૧રપ કિ.મી. દુરની બોટાદની સંસ્થાને જવાબદારી આપાયેલ છે. આટલે દુરથી સાફ સફાઇ કરાવી શકે ? થાય છે કે નહી તેનું ધ્યાન રાખી શકે ? સફાઇ કર્મચારીની હાજરી કોણ પુરે છે ? પણ માન. મંત્રીશ્રીનાન કર્મચારી જવાબ  (સર્ટિફીકેટ) આપે છે કે બોટાદની સંસ્થા દ્વારા આ કામગીરી કરવામાં આવે છે.

પરેશ પંડયા યાદીમાં જણાવે છે કે  આગળ તુમારસાહીમાં અટવાયેલ પ્રાચીન સંસ્કૃતિના સ્થળના વિકાસ બાબતે જણાવે છે કે વર્ષો થયા માંગણી કરવામાં આવે છે કે ત્યાં દુર દુરથી અસંખ્ય મુલાકાતીઓ આવે છે. ઉનાળો અને ચોમાસાને ધ્યાનમાં રાખી છત્રી આકારની મઢુલી બનાવી બેસવા ખુરશી-બાકડા મુકવા જોઇએ. પીવાના પાણીની અને ટોઇલેટની જરૂરી વ્યવસ્થા હોવી જોઇએ, ખુબ મોટા પગથીયા વૃધ્ધો, બાળકો, અશકતો, વિકલાંગો માટે યોગ્ય નથી. વર્ષોની રજુઆત બાદ માન. મંત્રીશ્રીના વિભાગના અધિકારી આજ પણ એમ જ જવાબ આપે છે કે પર્યટન વિકાસની કામગીરી દરમ્યાન આનો સમાવેશ કરાશે, સરકાર સુવિધા કયારે આપશે તેની હજી સ્પષ્ટતા નથી. વિકાસની કામગીરી કયારે શરૂ થશે તે અંગે કોઇ જ જાણકારી નથી. સ્વચ્છતા અભીયાનમાં ટોઇલેટની મોંધી અને મોટી જાહેરાતો કરવામાં આવે છે પણ અનેક રજુઆતો બાદ પણ વર્ષો થયા આ સુવિધા આપવામાં આવતી નથી.

બૌદ્ધગુફાની અવારનવારની મુલાકાત દ્વારા ફરીયાદો પણ મળી છે અને જાતે અનુભવેલ છે કે સુત્ય ધરાવતી ગુફામાં ચામાચીડીયા ભરાઇ જાય છે જે વાતાવરણ કલુશીત કરે છે. દુર્ગધ ફેલાય છે મુલાકાતીઓ હેરાજ પરેશન થાય છે. તેની રજુઆતના જવાબમાં મંત્રીશ્રીના વિભાગના કર્મચારી દ્વારા ઉડાઉ જવાબ અપાય છે કે હવે ચામાચીડીયા ઓછા થઇ ગયા છે. તો શુ ઓછા થવાથી પ્રશ્નનો નિકાલ થાય છે ? પ્રશ્ન પુરો થાય છે ? નેટથી પ્રવેશદ્વાર ઢાંકવા રજુઆત થયેલ તેના જવાબમાં જણાવવામાં આવે છે કે નેટથી ઢાંકી દેવું યોગ્ય જણાતું નથી. તેનો વિકલ્પ વિચારાય છે. દેશના અન્ય રાજયોના ઘણા સ્થાપત્યોને  પક્ષીથી બચાવવા નેટનો ઉપયોગ પુરાતત્વ વિભાગે જ કરેલ છે પણ ગુજરાતના પુરાતત્વ વિભાગ સંભાડતા મંત્રીશ્રીના સ્ટાફને યોગ્ય જણાતું નથી. પ્રશ્નનો નિકાલ નહી, વર્ષોથી વિકલ્પ વિચારાતો હશે?

વર્ષોની રજુઆતો છતા રાજય સરકારના પુરાતત્વ ખાતુ સંભાડતા માન. મંત્રીશ્રીઓ પ્રાચીન સંસ્કૃતિ બચાવવાના ગંભીર પ્રશ્ને સક્રિય થાય. પુરાતત્વ ખાતામાં સ્ટાફ આપવા બાબતે કે મહત્વના પ્રાચીન સ્મારકોની જાત મુલાકાત લય વિરાસત જાળવવા પ્રયત્નો કરવાને બદલે તેમના દ્વારા ફકત રજુઆત પત્રોના જવાબ આપવાનું કાર્ય જ થાય છે તે અફસોસજનક છે. મુખ્યમંત્રીશ્રીના જિલ્લામાંજ આવેલ અને માન. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી મોકલવાયેલ શ્રી જયાબહેન ફાઉન્ડેશનની રજુઆતનો પણ તુમાર શાહીમાં જવાબ આપવો જોઇએ તેનુ જ ફકત ધ્યાન અપાય છે અને પરીણામે પ્રાચીન સ્મારકને ભયંકર નુકશાન થઇ રહેલ છે.

આ એજ બૌધ્ધગુફા છે જેનો ભારતના વડાપ્રધાન ચીનના રાષ્ટપતિ અમદાવાદ આવેલ ત્યારે યોજાયેલ પ્રદર્શનમાં આ બૌધ્ધગુફાની જાણકારી આપે છે એજ પ્રાચીન બૌધ્ધ સ્મારક છે જેને દિલ્હી ખાતેની પ્રજાસત્ત્।ાક દિનની પરેડમાં ગુજરાત રાજયના ટેબ્લો તરીકે સ્થાન અપાયેલ ગુજરાતના મહત્વના પ્રાચીન સ્મારકો અંગે મેગાસ્ટાર અમિતાબ બચ્ચનને લઇ બનાવાયેલ 'ખુશ્બુ ગુજરાત કી'માં આ બૌધ્ધગુફાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે પણ રાજય સરકાર આજ સુધી વર્ષો થયા કરાયેલ અનેક રજુઆતો છતા આ ગૌરવપ્રદ સ્થાપત્યને સાચવવા, સુવિધા આપવામાં સદંતર નિસ્ક્રીયતા સાથે નિસ્ફળ સાબીત થયેલ છે. શા માટે આ બૌધ્ધગુફાને દેખાડવાનું મહત્વ સમજાય છે પણ સાચવવાનું નહી ? તાજેતરમાં જ બૌદ્ધગુફા અંગે વડાપ્રધાનશ્રી, મુખ્યમંત્રીશ્રી, વિભાગના મંત્રીશ્રી, નેતાશ્રી વિરોધ પક્ષ, મંત્રીશ્રી પુરવઠા વિભાગને આ અંગે રજૂઆત કરવામાં આવેલ છે.

પરેશ પંડયા (મો. ૯૪૨૯૫ ૭૧૬૬૩) અંતમાં જણાવે છે કે આવા પ્રાચીન સ્થાપત્યો સાચવવામાં પુરાતત્વ ખાતુ (રાજકોટમાં દશ જિલ્લાના કાર્યક્ષેત્રની સર્કલ ઓફીસમાં ફકત એક જ જુનીયર કર્લાક કાયમી કાર્યરત છે) અને તેને સંભાળતા મંત્રીશ્રી જયારે સક્ષમના હોય ત્યારે પણ પ્રાચીન સંસ્કૃતિ સાચવવી અનિવાર્ય છે તે સમજી ગુજરાત સ્થીત રીલાયન્સ, એસ્સાર, અદાણી જેવા મોટા ઉદ્યોગગૃહોને દતક લેવાડાવી આવી ગૌરવપ્રદ વિરાસત સાચવવા  રાજય સરકારે તાત્કાલિક નિર્ણય લેવો હવે જરૂરી છે.(૩૭.૮)

(4:13 pm IST)