રાજકોટ
News of Thursday, 14th June 2018

નવા મેયર તરીકે બીનાબેન આચાર્ય નક્કી

કોણ જાણી શકે સમયને રે.. સવારે કાલે કેવું થશે ? મહાનગરપાલિકામાં મહત્વની 'બીના' બની જશે... : અમદાવાદ અને સુરતમાં પટેલને મેયર બનાવાતા રાજકોટમાં પટેલ મેયરની શકયતા એકદમ ઘટી ગઇ : કાલે સવારે ૧૧ વાગ્યે ચૂંટણી : જાગૃતિબેન, કિરણબેન, દર્શિતાબેન, રૂપાબેનના નામ હજુ ગાજે છે : સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે ઉદય-કમલેશ, કશ્યપ, રાડિયાના નામ : ડે. મેયર પદ માટે જાગાણી, મોલિયા, અઘેરા ચર્ચામાં

રાજકોટ,તા.૧૪ :.  સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ મહાનગરના મેયર અને ડે. મેયરની ચૂંટણી માટે આવતીકાલે સવારે ૧૧ વાગ્યે સામાન્ય સભા મળનાર છે. મેયર પદ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત છે. નવા મેયર કોણ ? સવાલે ઉત્કંઠા જગાવી છે. જેના જવાબમાં મોટાભાગે વોર્ડ નં. ૧૦ના કોર્પોરેટર શ્રીમતિ બીનાબેન આચાર્યનું નામ સામે આવી રહ્યુ છે. આજે અમદાવાદ અને સુરતમાં ભાજપે પાટીદારને મેયર બનાવતા રાજકોટમાં પાટીદારને મેયર પદ મળવાની શકયતા એકદમ ઘટી ગઈ છે. નવા મેયર તરીકે બીનાબેન આચાર્ય ઉપરાંત દર્શિતાબેન શાહ, જાગૃતિબેન ઘાડીયા, રૂપાબેન શીલુ વગેરે નામ ગાજતા રહ્યા છે. જેમાં સૌથી મોખરે બીનાબેન આચાર્યનું નામ છે. રાજકારણમાં કયારેક થતા હોય છે તેવા કોઈ અણધાર્યા ફેરફાર ન થાય તો આવતીકાલથી રાજકોટના નવા મેયર તરીકે બીનાબેન કાર્યભાર સંભાળશે તેમ ભાજપના વિશ્વાસપાત્ર વર્તુળમાંથી જાણવા મળે છે.

મેયર કઈ જ્ઞાતિના આવે છે તેના આધારે ડે. મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેનનુ નામ નક્કી થશે. ચેરમેન પદ માટે ઉદય કાનગડનું નામ સૌથી મોખરે છે. વિકલ્પે કમલેશ મિરાણી, મનીષ રાડીયા, કશ્યપ શુકલ જેવા નામ ચાલી રહ્યા છે. ડે. મેયર પદ માટે દલસુખ જાગાણી, અશ્વિન મોલીયા, રાજુ અઘેરા વગેરે નામ ઉપસ્યા છે. આ પૈકી કોઈને પક્ષના નેતા અને દંડક બનાવાય તેવી સંભાવના છે.

રાજકોટના નિશ્ચિત મનાતા નવા મેયર બીનાબેન આચાર્ય પાંચ વર્ષ શિક્ષણ સમિતિના સભ્ય રહેલા. કોર્પોરેટર તરીકે પ્રથમ વખત વોર્ડ નં. ૨ માથી અને બીજી વખત અત્યારે વોર્ડ નં. ૧૦માથી ચૂંટાયેલા છે. બ્રાહ્મણ મેયર જૈમન ઉપાધ્યાયની મુદત આવતીકાલે પુરી થઈ રહી છે. જો અત્યારના નિર્દેશ મુજબ બીનાબેનને જ મેયર બનાવાશે તો સતત બીજી વખત બ્રાહ્મણને મેયર પદ મળવાની પ્રથમ ઘટના બનશે.

(3:11 pm IST)