રાજકોટ
News of Thursday, 14th June 2018

હાર્દિક પટેલ સાથે અકિલાની લાઇવ મુલાકાત...

૧૦ થી ૧ર દિવસમાં વિજયભાઇ બદલાય છેઃ હાર્દિક પટેલ

તેમના સ્થાને ભીખુભાઇ દલસાણિયા અથવા પ્રદિપસિંહ જાડેજા આવે છેઃ પાસ કન્વીનરનો વિસ્ફોટ હું ખોટો છું તો શા માટે ભાજપ નેતાઓ ઘાંઘા થયા છે?: ભાજપના જીતુભાઇ વાઘાણી, નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઇ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓએ હાર્દિક પટેલની જાહેરાતને માત્ર ''અફવા'' ગણાવી!

રાજકોટ તા. ૧૪: પાસ કન્વીનર અને તેજતર્રાશ કિસાન નેતા શ્રી હાર્દિક પટેલ આજે બપોરે અકિલાના ''લાઇવ ફેસ બૂક બ્રેકીંગ ન્યુઝ''ના મહેમાન બન્યા હતા. અકિલા સાથેની લાઇવ વાતચીતમાં હાર્દિકે કહ્યું હતું કે, મારા સોર્સના કહેવા પ્રમાણે હું મક્કમતાથી જાહેર કરૃં છું કે, આવતા ૧૦ થી ૧ર દિવસમાં ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજયભાઇ રૂપાણી થઇ રહ્યા છે અને તેમના સ્થાને સંઘનું ચાલશે તો ભીખુભાઇ દલસાણીયા અને જો અમિતભાઇનું ચાલશે તો હાલના ગૃહ રાજય પ્રધાન શ્રી પ્રદિપસિંહ જાડેજાને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવશે.

શ્રી હાર્દિક પટેલે અકિલાને જણાવેલ કે આગામી ર૦૧૯ ની ચૂંટણીમાં ભાજપની ૧૦ થી ૧ર બેઠકો કોંગ્રેસ ખૂંચવી જશે એ નકકી છે ત્યારે હાલના મુખ્યમંત્રી જો ચાલુ રહે તો ભાજપની દેશભરમાં નાલેશી થશે એટલી ઓછી બેઠકો મળશે તેથી બદલવા જરૂરી છે. તેમણે કહ્યું કે આનંદીબેન પટેલને બદલાવ્યા ત્યારે પણ તેઓએ સતત ઇન્કાર કરેલ કે હું મુખ્યમંત્રી પદે ચાલું જ રહેવાની છું.

પણ પરિણામ શું આવ્યું તે સહુ જાણે છે. શ્રી હાર્દિક પટેલે કહેલ કે ૧૦થી ૧ર દિવસની વાત છે. રાહ જુઓ તેમણે કહેલ કે જો હું ખોટો હોઉં તો મુખ્યમંત્રીથી લઇને પક્ષ પ્રમુખ, પ્રવકતા, નાયબ મુખ્યમંત્રી બધાજને પ્રત્યાઘાતો આપવાની શી જરૂર છે ?

દરમિયાન ભારતીય જનતા પક્ષના ગુજરાતના અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ આજે બપોરે અકિલાને જણાવેલ કે વિજયભાઇ બદલાય છે તે વાત વજૂદ વિનાની છે. આ સરકાર ખૂબ સારૃં કાર્ય કરી રહી છે ત્યારે તેને બદનામ કરવાની આ ચાલ છે. રાજયના નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે પણ હાર્દિકની જાહેરાતને સત્યથી વેગળી અને વજૂદ વિનાની, માત્ર અફવા ગણાવી હતી.

શ્રી હાર્દિક પટેલની જાહેરાતથી સમગ્ર રાજયમાં અને દેશભરમાં ભારે ચર્ચા જામી છે કે ગુજરાતમાં શું થઇ રહ્યું છે.

આજે અકિલાના 'લાઇવ બ્રેકીંગ ન્યુઝ' પ્રોગ્રામમાં અકિલાના કિરીટભાઇ ગણાત્રા સાથે હાર્દિક પટેલ જોડાયા ત્યારે પ્રતિ સેકંડ ૧૦૦૦ થી ૧ર૦૦ લોકો લાઇવ ન્યુઝ જોવા જોડાતા જતા હતા. અકિલા લાઇવ બ્રેકીંગ ન્યુઝે ફેસબુક ઉપર ઇતિહાસ સજર્યો છે. અકિલાના બુધવારના (ગઇકાલ) ફેસબુક લાઇવ ન્યુઝ ૧,૧ર,૦૦૦ લોકોએ નિહાળ્યા જે ગુજરાતી પત્રકારત્વમાં એક વિક્રમ છે. આપ, પણ ફેસબુક ઉપર  akilanews.com ઉપર જોઇ શકો છો. (તસ્વીરોઃ સંદિપ બગથરીયા)

(4:14 pm IST)