રાજકોટ
News of Thursday, 14th June 2018

પટેલ કારખાનેદારે ૪૪ લાખના ૮૯.૮૫ લાખ ચુકવ્યા છતાં વધુ વ્યાજ માંગી ધમકીઃ ૯ જણા સામે ફરિયાદ

બે દિવસ પહેલા સ્યુસાઇડ નોટ લખી શાપરના કારખાનામાં ફિનાઇલ પી લીધુ હતું : નહેરૂનગરના નિર્મળ બોરીચા, નારણ કોરાટ, તેના જમાઇ ભાવેશ, રજની કોરાટ, સંજય કોરાટ, હરેશ કોરાટ, નિહાર, ક્રિષ્નાબેન અને મુન્ના બાલાસરા સામે ગુનો દાખલ થયો

રાજકોટ તા. ૧૪: અટીકા ૮૦ ફુટ રોડ શ્યામ હોલ પાસે રજત સોસાયટી-૧માં રહેતાં લેઉવા પટેલ કારખાનેદારે બે દિવસ પહેલા શાપર ખાતે પોતાના કારખાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વ્યાજખોરોના ત્રાસ અંગેની સ્યુસાઇડ નોટ તેણે લખી હતી. દરમિયાન પોલીસે આ બારામાં ૯ જણા સામે બળજબરીથી પૈસા પડાવી મારી નાંખવાની ધમકી આપી વ્યાજખોરી આચરવા સબબ ગુનો નોંધ્યો છે.

પોલીસે રજત સોસાયટીમાં રહેતાં અલ્પેશભાઇ ગોરધનભાઇ બાબરીયા (ઉ. ૩૫)ની ફરિયાદ પરથી નહેરૂનગર-૬માં રહેતાં (૧) નિર્મળ બોરીચા, (૨) નારણ કચરાભાઇ કોરાટ, (૩) નારણ કોરાટના જમાઇ ભાવેશ, (૪) રજની નારણભાઇ કોરાટ, (૫) સંજય નારણભાઇ કોરાટ, (૬) હરેશ જીવરાજભાઇ કોરાટ, (૭) નિહાર હરેશભાઇ કોરાટ, (૮) ક્રિષ્નાબેન હરેશ કોરાટ અને (૯) મુન્ના બાલાસરા સામે આઇપીસી ૩૮૬, ૫૦૪, ૫૦૬, ૧૧૪,  મીનલેન્ડ એકટ ૪૦, ૪૨ (એ), (ડી) મુજબ ગુનો નોંધ્યો છે. અલ્પેશભાઇએ  આરોપી નં. ૧ થી ૬ પાસેથી રૂ. ૪૪ લાખ કટકે-કટકે વ્યાજે લીધા હતાં. આ બધાને કુલ રૂ. ૮૯ ૮૫ હજાર ચુકવીદીધા હોવા છતાં ફોનથી તેમજ ઘરે આવી વધુને વધુ વ્યાજની ઉઘરાણી કરી ગાળો દઇ ધમકી આપતાં હતાં. તેમજ નં. ૧ તથા ૪એ બળજબરીથી કોરા ચેકમાં સહીઓ કરાવી લીધી હતી. હરેશના પત્નિ અને પુત્ર પણ ધમકાવતાં હતાં અને હરેશનો હવાલો લેનાર મુન્નાએ પણ ધમકી ચાલુ કરી હતી.

ફરિયાદમાં અલ્પેશભાઇએ જણાવ્યું છે કે પોતાને શાપરમાં શ્રી ગણેશ પ્લાસ્ટીક નામે કારખાનુ છે. ૨૦૧૫ની સાલમાં ધંધા માટે પૈસાની જરૂર પડતાં મિત્ર ભાવેશ સાપરીયા મારફત નિર્મળ બોરીચાનો સંપર્ક થતાં ૫ ટકા વ્યાજે રૂ. ૨૯ લાખ લીધા હતાં. જેની સામે સિકયુરીટી પેટે ચેક આપ્યા હતાં. નારણ કોરાટ પાસેથી ૩ાા લાખ, તેના જભાઇ ભાવેશ પાસેથી પાંચ લાખ, રજની પાસેથી સંજય પાસેથી ૩ાા લાખ, હરેશ પાસેથી ૩ લાખ લીધા હતાં. બધાને વ્યાજ ચુકવ્યું હોવા છતાં વધુને વધુ વ્યાજ માંગી ધમકી અપાતી હતી. હરેશ સાથે તેના પત્નિ અને પુત્ર પણ ધમકી આપતાં હતાં. આ બધાના ત્રાસને કારણે ૧૨મીએ પોતે ફિનાઇલ પી લીધુ હતું. હરેશે વ્યાજની ઉઘરાણીનો હવાલો મુન્ના બાલાસરાને આપ્યો હોઇ તે પણ અવાર-નવાર ધમકી આપતો હતો.

પી.એસ.આઇ. ડી. એન. વાજા અને મયુરભાઇ મિંયાત્રાએ ગુનો દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:37 pm IST)