રાજકોટ
News of Friday, 14th May 2021

રૂડા-૧માં ઝૂલો તૂટી જતાં લોખંડનું ગડર માથામાં લાગ્યું: ૭૦ વર્ષના ગુણવંતરાય ઉપાધ્યાયનું મોત

રાજકોટ તા. ૧૪: કાલાવડ રોડ પર રૂડા-૧માં પ્લોટ નં. ૬માં નિલકંઠ ખાતે રહેતાં ગુણવંતરાય નંદલાલભાઇ ઉપાધ્યાય (ઉ.વ.૭૦) ઘરે ઝૂલામાં બેઠા હતાં ત્યારે અચાનક ઝૂલો તૂટતાં તેનું લોખંડનું ગડર માથામાં લાગતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ ગુણવંતરાય ઉપાધ્યાય સાંજે સાડા આઠેક વાગ્યે ઘરે ઝૂલામાં બેઠા બેઠા હીંચકા ખાતા હતાં ત્યારે અચાનક ઝૂલાનું ઉપરનું ગડર તૂટી ગયું હતું અને ગુણવંતરાયના માથામાં લાગી જતાં તેમને ગંભીર ઇજા થતાં બેભાન થઇ ગયા હતાં.

તેમને તાકીદે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ મોડી રાતે સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલના સિકયુરીટી ગાર્ડ ગોૈતમભાઇએ જાણ કરતાં તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. પી. વી. જીલરીયાએ ત્યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

(1:05 pm IST)