અક્ષય તૃતીયાના અવસરે ઝવેરીબજાર સુમસામ : સતત બીજા વર્ષે કોરોનાનું ગ્રહણ
મીની લોકડાઉનમાં ઝવેરી બજાર બંધ રહેતા વેપારીઓ અને ગ્રાહકોમાં નિરાશા : જવેલર્સને ધંધો ગુમાવવાનો વારો : કરોડોનો આર્થિક ફટકો
રાજકોટ : અક્ષય તૃતીયાના અવસરે સોના ચાંદી સહિતની શુકનવંતી ખરીદી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળતો હોય છે આ વર્ષે પણ અક્ષય તૃતિયાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે, અને ઝવેરીબજાર સુમસામ જોવા મળી હતી, મીની લોકડાઉનને કારણે સોની વેપારીઓએ ધંધા બંધ રાખ્યા છે ત્યારે વેપાર ધંધા અને બજારો બંધ રહેવાને લીધે સોના-ચાંદીના દાગીના અને જર-ઝવેરાત વેચતા જવેલર્સો તેમજ કંપનીઓને કરોડો રૂપિયાનો આર્થિક ફટકો પડશે. નાના જવેલર્સનો ધંધો ગુમાવવાને કારણે મોટો ફટકો સહન કરવાનો વારો આવ્યો છે, એશિયાની ગોલ્ડ હબ મનાતી રાજકોટની સોનીબજારમાં પણ હજારો જવેલર્સ -વેપારીઓ સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ,ત્યારે આ વર્ષે અક્ષય તૃતીયાના અવસરે સોનીબજાર ખુલવાની આશા હતી પરંતુ રાજ્ય સરકારે મીની લોકડાઉન વધુ એક અઠવાડિયું લંબાવતા નિરાશા સાંપડી હતી ગત વર્ષે પણ અક્ષય તૃતિયાએ લોકડાઉનને લીધે જવેલર્સોને મોટો ફટકો પડયો હતો. આ વર્ષે પણ અક્ષય તૃતિયાએ મીની લોકડાઉન હોવાથી જવેલર્સોને મોટો ફટકો પડશે આમ છેલ્લા બે વર્ષથી અક્ષય તૃતિયાના દિવસે વેપાર બંધ રહેવાને લીધે જવેલર્સોને પડ્યા પર પાટુ સમાન લાગી રહ્યું છે તસ્વીરમાં ઝવેરી બજાર બંધ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)