રાજકોટ
News of Wednesday, 14th April 2021

કોરોના મહામારીમાં સેવાનો સાદ ઝીલતા આગેવાનો

યુનિવર્સિટીમાં ૮૦૦ ઓકિસજન બેડ તૈયાર કરવા કવાયત

ઈન્ડોર સ્ટેડિયમ - કન્વેશનલ હોલ સહિત અનેક ભવનો - સુવિધાઓ દર્દીઓ માટે ખોલી દેવાશે * કુલપતિ નીતિન પેથાણી, નેહલ શુકલ, મેહુલ રૂપાણી, પરાક્રમસિંહ જાડેજા, આઈએમએ તેમજ પૂ.અપૂર્વસ્વામી દ્વારા થનારો અનોખો સેવાયજ્ઞ % કોરોના મહામારીમાં અનોખી સેવાને મળતો ભારે પ્રતિસાદ

રાજકોટ, તા. ૧૪ : કોરોનાની બીજી ખતરનાક લહેરથી સમગ્ર રાજકોટ સહિત ગુજરાતના મહાનગરોની હાલત ખૂબ ગંભીર વિકટ બની છે. રાજકોટમાં બેડ નથી. આરટીપીસીઆર ટેસ્ટીંગની કીટની અછત, દવાની અછત, ઓકિસજનવાળા બેડ નથી મળતા તો વેન્ટીલેટરવાળા બેડની શું સ્થિતિ હશે તે કલ્પના જ કરવી મુશ્કેલ છે.

બાલ્યકાળથી જ સંઘના સંસ્કારથી સંપન્ન થયેલા ભાજપના તેજતર્રાર નેતા અને કોર્પોરેટર નેહલ શુકલએ કોરોના સામે લડતા દર્દીઓ માટે અનોખો સેવાયજ્ઞ હાથ ધર્યો છે. કુલપતિ ડો.નીતિન પેથાણીના માર્ગદર્શન તળે સીન્ડીકેટ સભ્ય અને કોર્પોરેટર નેહલ શુકલએ રાતોરાત પ્રથમ તબક્કામાં કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે નિઃશુલ્ક કોવિડ સેન્ટર શરૂ કર્યુ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે શરૂ થયેલા કોવિડ કેર સેન્ટરનો બે જ દિવસમાં અધ્યાપક કુટીર ફુલ થઈ ગઈ છે. હવે કન્વેશનલ હોલમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિનભાઈ પેથાણી - સીન્ડીકેટ સભ્ય અને કોર્પોરેટર નેહલ શુકલ અને સીન્ડીકેટ સભ્ય મેહુલભાઈ રૂપાણીએ હાલની કોરોનાની વિકરાળ સ્થિતિમાં દર્દીઓને વધુ ઉપયોગી થઈ શકાય તે માટે સામાજીક ઉત્તરદાયિત્વ ગણીને કોરોનાના દર્દીઓને વધુ ઝડપી અને સુવિધાપુર્ણ સારવાર મળે તે માટે રાત દિવસ એક કરી રહ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કન્વેશનલ સેન્ટર અને ઈન્ડોર સ્ટેડિયમ હવે કોરોનાના દર્દીઓ માટે ઉપયોગ લેવા નીતિનભાઈ પેથાણી, નેહલભાઈ શુકલ અને મેહુલભાઈ રૂપાણીએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તુરંત ૫૦૦ થી ૮૦૦ બેડની ઓકિસજનવાળા બેડ તૈયાર કરવા આઈએમએ રાજકોટ, જયોતિ સીએનસીના શ્રી પરાક્રમસિંહ જાડેજા, બીએપીએસના પૂ.અપૂર્વસ્વામી સહિતનાએ કોરોનાની મહામારી વખતે ઉત્તમ સારવાર દર્દીઓને મળે તે માટે વિચાર કરી રહ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ કુલપતિ નીતિનભાઈ પેથાણી, નેહલભાઈ શુકલ, મેહુલભાઇ રૂપાણી, આઈએમએ પ્રમુખ ડો.પ્રફુલ કમાણી, જયોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજા અને પૂ.અપૂર્વસ્વામી દ્વારા ટૂંક સમયમાં કોરોના દર્દીઓ માટે ૫૦૦ થી ૮૦૦ ઓકિસજનવાળા બેડની વ્યવસ્થા કરવા અનોખો સેવા યજ્ઞ તુરંતમાં હાથ ધરનાર છે. જેની પ્રાથમિકતા પૂર્ણ થઈ ગઈ છે.

(3:40 pm IST)