રોકડા નાણાના અભાવે વેપારીઓ-ખેડુતોને ભારે હાલાકી : જયોતીન્દ્રમામા
અર્બન બેન્કોને જરૂરીયાત મુજબ રોકડ ફાળવવા માંગણી
રાજકોટ તા. ૧૪ : હાલ ગુજરાતમાં રવિ પાકની સીઝન ચાલી રહી છે ત્યારે માર્કેટ યાર્ડોમાં ખેડુતો ઘઉં, જીરૂ, વરીયાળી, રાયડો જેવી ઉપજ વેચવા આવી રહ્યા હોય ચુકવણીમાં વેપારીઓએ રોકડ આપવી પડે છે. પરંતુ રોકડની શોર્ટેઝના કારણે ભારે મુશ્કેલી ભોગવવી પડતી હોવાનું ગુજરાત અર્બન કો-ઓપરેટી બેન્કસ ફેડરેશનના ચેરમેન જયોતીન્દ્ર મહેતાએ જણાવેલ છે.
તેઓએ જણાવ્યુ છે કે ગુજરાતની અર્બન બેન્કોમાં વેપારીઓના ખાતાઓ ચાલે છે. પરંતુ રોકડની શોર્ટેજના કારણે વેપારીઓ અને ખેડુતો વચ્ચેના વ્યવહારો અટકી પડતા મોટી મુંઝવણ સર્જાઇ રહી છે. ખેડુતોના ખાતા બેન્કોમાં હોતા નથી એટલે ચેકથી નાણા સ્વીકારતા નથી અને જે ખેડુતોના ખાતા છે તેઓને ચેક સ્વીકાર થશે કે નહી તે વાત ઉપર વિશ્વાસ આવતો નથી એટલે તે પણ રોકડનો આગ્રહ રાખે છે. આમ રોકડની ખેચના કારણે વ્યવહારો અટકી પડતા હોય સત્વરે અર્બન કેન્કોને જરૂરીયાત મુજબની રોકડ ફાળવાવા જયોતીન્દ્રભાઇ મહેતાએ માંગણી ઉઠાવી છે.