રાજકોટ
News of Wednesday, 14th March 2018

કોર્પોરેશન સભાગૃહની પ્રેક્ષક ગેલેરી ખોલવા કોંગ્રેસની આજીજી પરંતુ ભાજપનો નનૈયો યથાવત

મેયર નકારાત્મક માનસિકતા છોડેઃ વિપક્ષી ઉપનેતા મનસુખ કાલરિયા - જાગૃતિબેન ડાંગરની રજૂઆતઃ પહેલા વિપક્ષ સભાગૃહમાં શિસ્તમાં રહેવાનું શીખી લ્યે પછી જ પ્રેક્ષક ગેલેરી ખોલાશેઃ ડો. જૈમન ઉપાધ્યાયનું તડને ફડ

રાજકોટ તા. ૧૪ : આગામી તા. ૧૬ને શુક્રવારે સવારે ૧૧ વાગ્યે મ્યુ. કોર્પોરેશનનું ખાસ બોર્ડ મળનાર છે. જેમાં પ્રેક્ષક ગેલેરી ખુલ્લી રાખવા અંગે વિપક્ષ કોંગ્રેસના ઉપનેતા મનસુખભાઇ કાલરીયા તથા વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે મેયર ડો. જૈમન ઉપાધ્યાયને વિસ્તૃત રજૂઆત કરી હતી પરંતુ આ બાબતે મેયરશ્રીને સ્પષ્ટ ના પાડી દીધી હતી.

આ અંગે વિપક્ષી ઉપનેતા મનસુખ કાલરિયાની યાદીમાં જણાવાયા મુજબ આગામી તા. ૧૬ના રોજ કાર્પેટ આધારીત વેરા પધ્ધતિના નિયમો સહિતના મુદ્દે મેયરશ્રી દ્વારા મનપાની ખાસ સભા બોલાવવામાં આવેલ છે. કાર્પેટ એરીયા આધારીત વેરા પધ્ધતિના નિયમોની બાબત રાજકોટની સમગ્ર જનતાને સીધી સ્પર્શતિ હોય. આ સભા દરમિયાન પ્રેક્ષક ગેલેરી ખુલ્લી મુકવા માટે વિપક્ષી ઉપનેતા મનસુખ કાલરીયા તથા કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે મેયરશ્રીને રૂબરૂ મળી વિનંતી કરેલ હતી. અને લોકોને સ્પર્શતા પ્રશ્ને પ્રેક્ષક ગેલેરી ખોલવા કોંગી નેતાઓએ ઘણી આજીજી કરીને વિનંતી પણ કરેલ હતી પરંતુ મેયર શ્રી માનસીકતા નકારાત્મક હોય તેવું જણાઇ રહ્યું છે.

દરમિયાન આ રજૂઆતના પ્રત્યુત્તરમાં મેયર ડો. જૈમન ઉપાધ્યાયે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ મળેલા જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે 'લોલીપોપ' ઉડાડીને બોર્ડની ગરિમાને ઝંખવી હતી માટે પહેલા કોંગી કોર્પોરેટરો શીસ્ત શીખી લ્યે પછી પ્રેક્ષક ગેલેરી ખુલ્લી કરવા વિચારીશું.

 

(4:47 pm IST)