રાજકોટ
News of Wednesday, 14th March 2018

૧૫૦ ફુટ રીંગરોડ ઉપરના મિલેનીયમ પ્રોજેકટની જમીનના વિવાદી કેસમાં દાવો રીસ્ટોર કરવા હુકમ

રાજકોટ, તા. ૧૪ :. અત્રે ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ મિલેનીયમ પ્રોજેકટની જમીન સંદર્ભે ચાલી રહેલ વિવાદમાં કોર્ટ દ્વારા અરજદારની તરફેણમાં મહત્વનો ચુકાદો આપેલ હતો.

આ કેસની વિગત એવી છે કે રાજકોટના રહે. તુલશીભાઈ રવજીભાઈ અકબરી, અરૂણભાઈ તુલશીભાઈ અકબરી તથા ઈલાબેન તુલશીભાઈ અકબરી દ્વારા રાજકોટના સિવિલ જજ સમક્ષ રાજકોટના પોશ વિસ્તારમાં આવેલ ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાનામૌવા વિસ્તાર પર કે જેના રેવન્યુ સર્વે નં. ૨૪/૫/એ ના ટી.પી. સર્વે નં. ૭ ના ફાઈનલ પ્લોટ નં. ૨૭/૫/૧ પૈકી ૧/ પૈકી ૧ તથા પૈકી ૩ (હાલ મિલેનિયમ કન્સ્ટ્રકશન)થી ઓળખાતી ખેતીની જમીન સંદર્ભે દસ્તાવેજો રદ કરવાનો દાવો દાખલ કરવામાં આવેલ હતો.

દાવાની હકીકત પ્રમાણે વિવાદવાળી જગ્યા અરજદારના પિતાશ્રી રવજીભાઈ બેચરભાઈ અકબરી અને અન્યો દ્વારા ૧૯૮૭માં ખરીદવામાં આવેલ. ત્યાર બાદ પારિવારીક કરાર મુજબ એન્ટ્રી નં. ૧૫ તા. ૧-૫-૧૯૮૭ના રોજ દાખલ કરવામાં આવેલ જે તા. ૪-૭-૧૯૮૭ના રોજ કન્ફર્મ કરવામાં આવેલ. જેમાં તુલશીભાઈ રવજીભાઈ અકબરી ખાતે સર્વે નં. ૨૪ની એકર ૬-૦૩ ગુંઠા જમીન ભાગે આવેલ. ત્યાર બાદ તુલશીભાઈ રવજીભાઈ અકબરીની જાણ બહાર આ કામના પ્રતિવાદીઓ દ્વારા તેઓની જમીનમાં ઘટાડો કરી એન્ટ્રી નં. ૧૦૮ કરાવવામાં આવેલ. ત્યાર બાદ આ કામના પ્રતિવાદીઓ દ્વારા તુલશીભાઈ રવજીભાઈ અકબરીનો હક્ક ઘટાડતી વધુ એક એન્ટ્રી નં. ૧૧૦ કરાવવામાં આવેલ. ઉપરોકત એન્ટ્રીઓ સંદર્ભે તુલશીભાઈ રવજીભાઈ અકબરી દ્વારા તેઓને ૧૩૫ ડીની નોટીસ ન મળવા તેમજ પોતે કોઈપણ ફેમિલી સેટલમેન્ટ ડીડમાં સહી ન કર્યા અંગેનો વાંધો લેવામાં આવેલ.

ઉપરોકત વિવાદીત જમીન આ કામના પ્રતિવાદી દ્વારા તા. ૧૩-૪-૨૦૧૨ના રોજ અરવિંદભાઈ જસમતભાઈ રામાણી, કાશ્મીરાબેન અરવિંદભાઈ રામાણી, દિવાળીબેન જસમતભાઈ રામાણી અને જગાભાઈ ખીમજીભાઈ ધડુક જોગ વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવતો સદરહુ દસ્તાવેજ રદ કરવા સંદર્ભે દાવો દાખલ કરવામાં આવેલ હતો.

ચાલુ દાવે આ કામના વાદી તુલશીભાઈ રવજીભાઈ અકબરીનું અવસાન થતા કોર્ટ દ્વારા દાવો એબેટ (રદ) કરવાનો હુકમ કરવામાં આવેલ. સબબ વાદીના કાયદેસરના વારસદારો દ્વારા સદરહુ દાવો રીસ્ટોર (પુનઃસ્થાપિત) કરવાની અરજી કરવામાં આવતા તે અંગે બન્ને પક્ષોને સાંભળી અધિક સિવિલ જજ શ્રી એસ.એમ. ગોવાણી દ્વારા વાદીની તરફેણમાં ચુકાદો આપતા દાવો રીસ્ટોર (પુનઃ સ્થાપિત) કરવાનો હુકમ કરવામાં આવેલ હતો.

આમ દાવો પુનઃ સ્થાપિત થતા રાજકોટના રાજમાર્ગ સમા ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર ચાલી રહેલ મિલેનિયમ પ્રોજેકટની જમીનના વિવાદ અંગેની છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલ કાનૂની લડત લંબાઈ છે અને આગામી વર્ષોમાં પણ આ લડત વધુ પ્રબળ બને તેવી સંભાવના છે.

આ કામમાં વાદી વતી એડવોકેટ નયન આર. મહેતા, સહદેવસિંહ ટી. જાડેજા, વિશાલ કે. સોજીત્રા રોકાયા હતા

 

(4:26 pm IST)