રાજકોટ
News of Friday, 14th February 2020

રવિવારે કોળી સમાજના સમૂહલગ્ન : સંતો - મહંતોની હાજરીમાં ૨૭ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે

શ્રી જય વેલનાથ સમૂહલગ્ન સમિતિ - રાજકોટ દ્વારા આયોજન : કરિયાવરમાં દીકરીઓને ૭૦ વસ્તુઓ અપાશે : કુરિવાજો - વ્યસનમુકિતના સંદેશા પ્રસરાવાશે

રાજકોટ, તા. ૧૪ : રાજકોટ ચુંવાળીયા કોળી વિદ્યાર્થી ભવન અને સંત શ્રી વેલનાથ સમુહલગ્ન સમિતિ આયોજીત ૨૫મો સમૂહલગ્નોત્સવ બહુમાળી ભવન સામે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં તા.૧૬ના રવિવારે બપોરના ૨ થી રાત્રીના ૯ વાગ્યા સુધી યોજવામાં આવશે. જેમાં ચુંવાળીયા કોળી સમાજના ૨૭ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે.

ચુંવાળીયા કોળી સમાજના આ સમૂહલગ્નોત્સવમાં અલીયાબાડા નકલંક રણુજાના મહંત શ્રી રામદાસબાપુ, તેમજ ચેતન સમાધી ખડખડના મહંત શ્રી સાઈરનાથબાપુ, સરધાર મંદિરના પરમ પૂજય રસીક ભગતબાપુ, જૂના અખાડા (દસનામી) હસનપરના મહંત શ્રી સત્યમગીરીબાપુ તથા અન્ય સંતો - મહંતો આર્શીવચન પાઠવશે.

સમાજમાંથી કુરિવાજ અને અંધશ્રદ્ધા નાબુદ થાય તે માટે જાગૃતિ લાવવા માર્ગદર્શન તેમજ યુવાનોમાંથી વ્યસનમુકિત અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવશે તેમ જણાવાયુ હતું.

રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાનારા આ સમારંભમાં અધ્યક્ષ તરીકે સુરેન્દ્રનગરના સાંસદ ડો.શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, સમારંભમાં ઉદ્દઘાટક તરીકે ગુજરાત કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ધાંગધ્રાના ધારાસભ્ય શ્રી પરસોતમભાઈ સાબરીયા, સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સભ્ય દેવજીભાઈ જી. ફતેપરા તથા ગુજરાત રાજય ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ શ્રી વીરજીભાઈ સનુરા, સૌરાષ્ટ્ર ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ વીરજીભાઈ સનુરા, સૌરાષ્ટ્ર ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ દિનેશભાઈ મકવાણા, બોર્ડીંગના પ્રમુખ બાબુભાઈ ઉગરેજા તેમજ મુખ્ય મહેમાન તરીકે ધર્મેશભાઈ ઝંઝવાડીયા તથા ઉદ્યોગપતિ મિહીરભાઈ સીતાપરા તથા સમાજના અન્ય આગેવાનો મહેમાનો ઉપસ્થિત રહેશે.

ચુંવાળીયા કોળી વિદ્યાર્થી ભવન અને સંત શ્રી વેલનાથ સમૂહલગ્નને સફળ બનાવવા માટે સમિતિના પ્રમુખ શ્રી હરેશભાઈ બી. પરસોંડા, સમિતિના મહામંત્રી શ્રી વિજયભાઈ એમ. મેથાણીયા, ખજાનચી યોગેશભાઈ રીબડીયા વગેરે જહેમત ઉઠાવી રહેલ છે તેમ સંત શ્રી વેલનાથ સમૂહલગ્ન સમિતિના મહામંત્રી વિજયભાઈ એમ. મેથાણીયાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

તસ્વીરમાં ચુંવાળીયા કોળી સમાજના આગેવાનો સર્વશ્રી હરેશભાઈ પરસોડા, વિજયભાઈ મેથાણીયા, યોગેશભાઈ રીબડીયા, લક્ષ્મણભાઈ વાવેચા, જેન્તીભાઈ બોરીચા, રાજુભાઈ પંચાસરા, મનસુખભાઈ વાઘેલા, જાદવભાઈ ગોધાણી, જેસીંગભાઈ રાઠોડ, સુભાષભાઈ અઘોલા અને આશિષભાઈ ડાભી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:35 pm IST)