વિરાણી હાઇસ્કુલમાં વેલેન્ટાઇન-ડેની અનોખી ઉજવણી ગાયોને ૪૦૦ કિલો લાડુ ખવડાવી માતૃ-પિતૃ પુજન
રાજકોટઃ આજે સમગ્ર વિશ્વ પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કરી વેલેન્ટાઇન ડે ઉજવવામાં મશગુલ છે. વૃધ્ધાશ્રમની સંખ્યા વધી રહી છે. મા-બાપ અને સંતાનો વચ્ચેની આત્મીયતા ઘટી રહી છે ત્યારે વિરાણી હાઇસ્કુલ દ્વારા વિદ્યાર્થીઓમાં પોતાના માતા-પિતા અને ગુરૂજનો માટે સન્માન વધે, ભાવી પેઢીમાં માતા-પિતા પ્રત્યે આદરની ભાવના કેળવાય અને સંસ્કાર સિંચન થાય તેવા હેતુથી તા.૧૪ના વેલેન્ટાઇન ડેના વિરાણી હાઇસ્કુલના પ્રાર્થના ખંડમાં માતૃ-પિતૃ પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ઉપરાંત જય માતાજી અબોલજીવ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ક્રિએટીવના નરેશભાઇ પટેલના સહયોગથી બાળકો ગાયોને ૪૦૦ કિલો લાડવા ખવડાવવાનું ભગીરથ કાર્ય કરી પુણ્યના ભાગીદાર બન્યા.આ પ્રસંગે વિદ્યાર્થીઓએ હું મારા પિતાને ચાહુ છું કારણ કે... વિષય પર પોતાના અભિપ્રાય રજુ કર્યા હતા. વિદ્યાર્થીઓ વેલેન્ટાઇન ડે જેવા પશ્ચિમી દેશોનું આંધળુ અનુકરણ ન કરે તે માટેના વિચારો રજુ કરવામાં આવ્યા. તેમજ વિદ્યાર્થીઓના માતા-પિતાને આમંત્રણ આપી તેમના સંતાનો દ્વારા વૈદીક મંત્રોચ્ચાર સાથે માતા-પિતા અને ગુરૂજનોનું પૂજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ માતા-પિતાની આરતી ઉતારી, પુજા અર્ચના કરી, તેમની પ્રદક્ષિણા ફરી અને આશીર્વાદ મેળવ્યા. વિદ્યાર્થીઓએ શિક્ષકોનું પણ માતા-પિતા તરીકે પુજન કર્યુ હતું. ઉપરાંત વાલીશ્રીઓ દ્વારા પણ લાગણી સભર શાળા-પરીવારનો આભાર વ્યકત કરી શાળાની આ પ્રવૃતિને બીરદાવવામાં આવી હતી. બાળકોએ પોતાના માતા-પિતા સાથે પોતાના વિસ્તારની તથા ગૌશાળાના ગાયોને લાડુ ખવડાવી આ દિવસની ઉજવણી કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણગણે જહેમત ઉઠાવી આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે દોલતસિંહ ચૌહાણ, મીતલભાઇ ખેતાણી, ચીરાગભાઇ ધામેચા-જલારામ, સુપરવાઇઝર એસ.એલ.કાસુનદ્રા તથા શિક્ષકો ઉપસ્થિત રહયા હતા. સમગ્ર સંચાલન શ્રી હીરપરાએ કર્યુ હતું. તેમ શાળાના આચાર્યશ્રી હરેન્દ્રસિંહ ડોડીયાની યાદી જણાવે છે. આ પ્રસંગે બાળકોને આશીર્વાદ આપવા રાજકોટ જીલ્લા શિક્ષણાધીકારી ઉપાધ્યાય આસ્થાના તંત્રી પ્રશાંતભાઇ દવે, યુનીક વિકલાંગના શૈલેષભાઇ વિરાણી પ્રાયમરીના આચાર્ય શીતલબેન નથવાણી ઉપસ્થિત રહયા હતા.