રાજકોટ
News of Friday, 14th February 2020

બે કિ.મી. લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો

સીએએને રાજકોટનું પ્રચંડ સમર્થનઃ વિશાળ તિરંગા યાત્રા

મુખ્યમંત્રીએ યાત્રાનું કરાવ્યું પ્રસ્થાનઃ ભારતના ટુકડા કરવાની કોઇ હિંમત ન કરે તેવું શકિતશાળી બનાવવું છેઃ રાજકોટના રાજમાર્ગો સવારે છવાયો દેશભકિત ગીતોનો રંગઃ આઇ સપોર્ટ સીએએના બેનર સાથે હજારો લોકો જોડાયાઃ ઢોલ-નગારા સાથે રાસ ગરબાની રમઝટઃ યાત્રાના રૂટ ઉપર ઠેર-ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો

હમ સબ એક હૈઃ સીએએના સમર્થનમાં યોજાઇ બે કિ.મી.ની રાષ્ટ્રધ્વજ સાથેની ત્રિરંગા યાત્રાઃ રાજકોટ : રેસકોર્ષ મેદાન ખાતે આજે સવારે ૯ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સીએએના સમર્થનમાં યોજાયેલ દેશભકતોની વિશાળ ત્રિરંગા યાત્રાને લીલી ઝંડી આપી હતી તે વખતની તસ્વીરમાં શહેરના દેશભકત નાગરિકોનું અભિવાદન ઝીલી રહેલા વિજયભાઇ રૂપાણી, પુરવઠા મંત્રી જયેશ રાદડિયા, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તથા ઉપસ્થિત સાધુ-સંતો નજરે પડે છે. અન્ય તસ્વીરોમાં યાત્રામાં જોડાયેલ હજારો દેશભકત નાગરિકો તથા વિદ્યાર્થીઓનો સમુહ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ,તા.૧૩: રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા સમિતિ આયોજિત કેન્દ્રીય નાગરિક સંશોધન કાયદાને સમર્થન આપવા યોજાયેલ રાષ્ટ્રીય એકતાની ૨ કી.મી. લંબાઈના રાષ્ટ્ર ધ્વજની તિરંગાયાત્રાને પ્રસ્થાન કરાવતા પ્રસંગે યોજાયેલ સભાને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યુ હતુ કે ભારતદેશને મજબૂત અને શકિતશાળી બનાવી ભારતને કોઈ નબળો ન કરી શકે અને દુર્ગાદેવી જેવી ભારતમાતાને શકિતશાળી બનાવીએ. આપણે સૌ જાતિ પ્રાંત અને ભાષાવાદથી ઉચે ઉઠીને શકિતશાળી રાષ્ટ્ર આપણા માટે પહેલા છે. રાષ્ટ્રમાટે જીવીશું અને  રાષ્ટ્ર માટે મરીશું        

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે ભૂતકાળના શાસકો એ દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ, દેશ દાઝ, સ્વાભિમાનની સમસ્યાના નિરાકરણ માટે કશાં પ્રયત્નો કર્યા ન હતાં, વડા પ્રધાન   નરેન્દ્રભાઇ મોદીએ એરસ્ટ્રાઇક અને સર્જીકલ સ્ટ્રાઇક દ્વારા દુનિયાને બતાવીદીધું કે ભારત તાકતવર દેશ છે. કોઇ આ દેશ ઉપર ખરાબ નજર નહી કરી શકે, અમે લોકસભાની ચૂંટણીમાં જે વચંનો લોકોને આપ્યા હતા. તે  એક પછી એક પૂર્ણ કરી રહ્યા છીએ. વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહએ અભૂતપૂર્વ અને ઐતિહાસીક નિર્ણય લઇને કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ લોકસભા-રાજયસભામાં બહુમતિથી પસાર કરાવીને દૂર કરેલ છે. કાશ્મીરને ભારતનું અવિભાજય અંગ બનાવેલ છે. હવે કાશ્મીરનો વાસ્તવિક વિકાસ શરૂ થયેલ છે. ટ્રીપલ કાયદો રદ કરીને મહિલા-પુરૂષોને સમાન તકનો નિર્ણય કરેલ છે. 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે ૧૯૪૭ માં ધર્મના નામે દેશના ભાગલા થયા હતા એ વખતે પાડોશી દેશોમાંથી પીડિત થઈને આવેલ આપણા અલ્પસંખ્યક ભાઈઓ બહેનો  પાડોશી દેશોમાંથી આવ્યા પરંતુ વોટબેંક અને ધર્મ આધારિત રાજનીતિના કારણે આપણી યોજનાઓનો લાભ ન મળ્યો અને નાગરિકતા ના મળી, આપણા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી    અમિતભાઇ શાહ, દેશહિતમાં એક અભૂતપૂર્વ નિર્ણય કરીને લોકસભા અને રાજયસભામાં નાગરિકતા સંશોધન કાયદો પસાર કરાવીને હવે આપણા શરણાર્થી ભાઈઓ-બહેનોને નાગરિકનો અધિકાર મળશે આ કાયદાથી નાગરિકતા દેવાની વાત છે નાગરિકતા લેવાની વાત નથી અમુક તત્વો દેશ વિરોધી નારાઓ અને જુઠા પ્રચાર કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, દુષ્પ્રચાર કરી રહ્યા છે આ લોકો દેશ શકિતશાળી ન બને તેવું ઇચ્છી રહ્યા છે. નાગરિકતા સંશોધન કાયદાને સમગ્ર દેશમાંથી પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે મુખ્યમંત્રી  એ આ તકે દેશ માટે સમય કાઢીને તિરંગા યાત્રા માં ભાગ લેવા બદલ સૌ નાગરિકોને અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે શિક્ષણમંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરે દેશોના અલ્પસંખ્યક શરણાર્થી લોકોને નાગરિકતા આપવાની વાત આ કાયદામાં કરાય છે. આપણા દેશના કોઈ પણ લોકોની નાગરિકતા લઈ લેવાની આ કાયદામાં કોઈ  વાત જ નથી.  વડાપ્રધાન   નરેન્દ્રભાઈના વડપણ હેઠળ દેશ હિતમાં નાગરિક સંશોધન કાયદો અમલી બનાવ્યો છે. કેટલાક દેશ વિરોધી લોકો આ કાયદાનો  વિરોધ કરી, ખોટો પ્રચાર કરી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.

પશુપાલન અને પાણીપુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા એ જણાવ્યું હતું કે આજે આ તિરંગાયાત્રા માં ખૂબ જ મોટી સંખ્યામાં શાળા , મહાશાળા, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને લોકો ઉપસ્થિત રહી છે.ત્યારે મને ગર્વ થાય છે કે વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી   અમિતભાઇ શાહ એ એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક નિર્ણય દેશહિત અને માનવતા માટે નાગરિકતા સંશોધન કાયદો દ્યડીને કરેલ છે. જેને આજે સમગ્ર સૌરાષ્ટ્ર તરફથી સમર્થન મળી રહ્યું છે. ત્યારે આજે મુખ્યમંત્રી   વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં આપણે ઉત્સાહભેર આ રેલી માં જોડાઈ ને આ કાયદાને સમર્થન આપશું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્ર હિતમાં નાગરિકતા સંશોધન કાયદો લાવ્યા. આવો કાયદો વર્ષોથી લોકો ઇચ્છી રહ્યા હતા. રાષ્ટ્ર હિતના આ કાયદાને  આપણે સૌ સમર્થન આપવું જોઈએ. આ કાયદાને આજ રાજકોટની જનતાએ મોટી સખ્યામાં ભાગ લઈ સમર્થન આપ્યું છે તે માટે હું સૌનો આભારી છુ. આર્ષ વિધ્યા મન્દિરના સ્વામી પરમાત્માનંદજીએ નાગરિકતા સંશોધન કાયદાને સમર્થન આપ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રસ્થાન કરાવેલ સીએએના સમર્થનમાં તિરંગા યાત્રા શહેરના મુખ્યમાર્ગો પર નિકળી હતી. આ યાત્રા સરદાર પટેલની પ્રતિમા બહુમાળી ભવનથી શરૂ થઇ જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, રામકુષ્ણ આશ્રમ, ત્રિકોણ બાગ, જુબેલી ગાર્ડન પાસે મહાત્માગાંધીની પ્રતિમા પાસે પૂર્ણ થઇ હતી.

ર કી.મી. લાંબો -૧૦ ફુટ પહોળા રાષ્ટ્રધ્વજ સાથે હજારો લોકો યાત્રામાં જોડાયાઃ  CAA સમર્થનનાં નારા ગુંજયા

રાજકોટ : તિરંગા યાત્રામાં 'હમ સબ એક હૈ, કચ્છ હો યા ગૌહાટી, ફીર ભી અપનાં દેશ એક હૈ' 'આઇ સપોર્ટ-વી  સપોર્ટ -ભારત માતા કી  જયનાં નારાઓ લાગ્યાઃ  ર કિ.મી. લાંબો અને ૧૦ ફુટ પહોળાઇના રાષ્ટ્રધ્વજ સાથે હજારો લોકો જોડાયાઃ સ્કુલના બાળકો, વિવિધ સમાજના આગેવાનો, સંસ્થાઓ રેલીમાં જોડાયા.

તિરંગા યાત્રાના પ્રારંભ માટે મંચસ્થ મહાનુભવો

રાજકોટઃ શહેરમાં વિશાળ તિરંગા યાત્રામાં પ્રારંભ વખતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ  મોહનભાઇ કુંડારિયા,   ધારાસભ્યો સર્વ   ગોવિંદભાઇ પટેલ,   અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા,   પ્રદેશ ભાજપ અગ્રણી   નીતિનભાઈ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ   કમલેશભાઈ મીરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ  ડી.કે.સખીયા, ભાનુભાઇ મેતા,મેયર બિનાબહેન આચાર્ય, અંજલીબેન રૂપાણી,વી.પી.વૈષ્ણવ ચંદ્રકાત શેઠ, મુકેશ મલકાની, રાજુભાઇ ધ્રુવ, ડો.જિતેન્દ્ર અમલાણી,  ડો. અમિત હપાણી, ડો. અતુલ પંડ્યા,કિશોરભાઈ મોંગલપરા, ગુણવંતભાઈ ડેલાવાળા,    મુકેશભાઈ દોશી, અજયભાઈ પટેલ, મૌલેશભાઈ પટેલ,  જયોતિન્દ્રભાઈ મહેતા, નલિનભાઈ વસા, દિલીપભાઈ પટેલ, જતીનભાઇ ભરાડ,   ભરતભાઇ ગાજીપરા, ડી.વી.મહેતા, પરેશભાઈ ગજેરા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણી, મેહુલભાઈ રૂપાણી, અમીનેષભાઈ રૂપાણી, ડો.ભરતભાઇ બોઘરા,    નયનભાઈ શુકલ, વિવિધ વેપાર-ઉઘોગ મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓના હોદેદારો, જૈન મુનિ સંતો,ઇન્દ્રવિજય મહારાજ, વિશ્વબધુજી ધર્મવલ્લભ, નીર્દોર્ષમુનિ,રાધારામણ,વિવેક સાગર સ્વામી, વિર્ધાર્થોઓ,સ્વેચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ભાજપ સંગઠના હોદેદારો અને શહેર જિલ્લાના મોટી સંખ્યામાં નાગરિકભાઇ-બહેનો  ઉપસ્થિત રહ્યા અને તિરંગા યાત્રામાં જોડાયા હતાં.

(3:58 pm IST)