કણકોટ પાટીયે જીઇબી કર્મચારી રામજીભાઇ મુછડીયાના મકાનમાં ૬૨ હજારની ચોરી
રાજકોટ તા. ૧૩: કણકોટના પાટીયે રહેતાં જીઇબી કર્મચારીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ૬૨ હજારની માલમત્તા ચોરી ગયા છે.
આ બનાવમાં તાલુકા પોલીસે કણકોટ પાટીયા પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર ૪૭૬માં રહેતાં અને જીઇબીમાં નોકરી કરતાં રામજીભાઇ મોહનભાઇ મુછડીયા (ઉ.વ.૪૫)ની ફરિયાદ નોંધી છે.
રામજીભાઇના કહેવા મુજબ ૯/૧ના બારેક વાગ્યે અમે અમારા ઘરેથી સરપદડ ગામડે જવા નીકળ્યા હતાં. ઘરે કોઇ નહોતું. ૧૧મીએ સવારે સાડા આઠેક વાગ્યે પડોશીનો ફોન આવ્યો હતો કે ઘરના દરવાજાના તાળા તૂટેલા છે. આથી અમે ગામડેથી પરત આવીને તપાસ કરતાં ઘરમાં તિજોરીના તાળા તોડી અંદરથી સોનાનો ચેઇન, સોનાની બુટી, વીટી, નાકના દાણા, ચાંદીનો જૂડો, સાંકળા, ઝાંઝરી, રોકડા રૂ. ૧૦ હજાર મળી કુલ રૂ. ૬૨ હજારની માલમત્તા ચોરાઇ ગયાની ખબર પડી હતી. ઘરમેળે તપાસ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી. તાલુકા પીએસઆઇ એ. જી. અબાસણાએ ગુનો દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.