ન્યુ સાગર સોસાયટીમાં નોકરી ન મળતા હતાશ થઇ મોહીત સોલંકીએ ફાંસો ખાઇ જીવન ટૂકાવ્યું
યુવાન બે દિવસથી ગુમસુમ રહેતો હતો : પિતાએ દરવાજો તોડીને જોતા પુત્ર લટકતી હાલતમાં નજરે પડ્યો
રાજકોટ,તા. ૧૩: કોઠારિયા રોડ પર ન્યુ. સાગર સોસાયટીમાં રહેતા યુવાને નોકરી ન મળતા હતાશ થઇને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ કોઠારીયા રોડ ન્યુ સાગર સોસાયટીમાં રહેતા મોહીત દીલીપભાઇ સોલંકી (ઉવ.૨૨)એ પોતાના ઘરે ઉપરના રૂમમાં છતના હુકમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. સવારે પિતા તેને બોલાવવા માટે ઉપરના માળે જતા રૂમનો દરવાજો બંધ હોય, પિતાએ ખખડાવતા મોહીતે દરવાજો ન ખોલતા તેણે દરવાજો તોડીને અંદર જોતા પુત્ર લટકતી હાલતમાં જોવા મળતા દેકારો બોલાવતા પરવિારજનો એકઠા થઇ ગયા હતા અને જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા ભકિતનગર પોલીસ મથકના એ.એસ.આઇ ભરતસિંહ સોલંકીએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
મૃતક મોહીત બે ભાઇમાં મોટો હતો. ઘણા સમયથી તેને નોકરી ન મળતા હતાશ થઇને તેણે આ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.