વિસાવદરના વેપારી વિરૂધ્ધ ચેક રિટર્ન થતાં આરોપીને કોર્ટમાં હાજર થવા ફરમાન
રાજકોટ તા ૧૩ : વિસાવદરના પ્રખ્યાત વેપારી વિરૂધ્ધ રૂા ૫,૦૦,૦૦૦/- ના ચેક રિટર્ન અંગેની ફોજદારી ફરિયાદ કોર્ટમાં થતાં આરોપીને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ફોજદારી કોર્ટે કાઢેલ છે.
રાજકોટમાં લક્ષ્મીવાડી શેરી નં.૪/૧૨ કોર્નર ''જાની કુંજ'' માં રહેતા જીતેન્દ્રકુમાર કાંતિલાલ યાજ્ઞીકની પાસેથી સંબંધની રૂએ તથા જુના મિત્રો હોવાના નાતે ઓળખાણ હોવાથી તે નાતે ઓળખાણ અને સબંધની રૂએ હરેશભાઇ પી. મહેતા, મુરલીધર પ્લોટ શેરી નં.-ર, રેલ્વે સ્ટેશન સામે વિસાવદર, જી. જુનાગઢને તાત્કાલીક રૂા પ,૦૦,૦૦૦/- ની જરૂર પડતા, ફરિયાદી હિતેન્દ્રભાઇ યાજ્ઞીકે માત્ર સબંધ તથા મિત્રતાના કારણે ચેક રૂા ૨,૫૦,૦૦૦/ તથા રૂા ૨,૫૦,૦૦૦/- તા. ૧૪/૦૮/૨૦૧૭ ના રોજ આરોપી હરેશભાઇ પી. મહેતા જોગ લખી આપેલ, જે બેંક દ્વારા આરોપીને મળી ગયેલ અને તે સમયે આરોપીએ ફરિયાદી જોગ પ્રોમીસરી નોટ પણ લખી આપેલ.
ફરિયાદીએ સદરહુ બન્ને ચેક સ્વીકારેલ અને તેમની બેંક એસ.બી.આઇ., ગુંદાવાડી રાજકોટ શાખામાં રજુ રાખતા, બેલેન્સના અભાવે બન્ને ચેક રીટર્ન થયેલા, જેથી કાયદા તથા નિયમ મુજબ સમય મર્યાદામાં એડવોકેટ શ્રી હર્ષદકુમાર એસ. માણેક દ્વારા રજી.એ.ડી. પોસ્ટથી ડીમાન્ડ નોટીસ આપેલ.
આ નોટીસ બજી જવા છતાં પણ આરોપીએ રકમ ચુકવેલ ન હોય કે જવાબ પણ આપેલ ન હોય જેથી છેવટે રાજકોટની ફોજદારી અદાલતમાં ફરિયાદીએ આરોપી વિરૂધ્ધ ચેક રિટર્ન થવા સબબની સ્પે. કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરેલ છે. હકીકત તથા કાયદેસરના લેણા સબબ તથા સમય મર્યાદા અંગે તમામ હકીકતો ધ્યાને લઇ કોર્ટે ફોજદારી કેસ રજીસ્ટરે લીધેલ છે, અને આરોપીને હાજર થવા માટે સમન્સ ઇસ્યુ કરી પોલીસ દ્વારા બજવણી વાસ્તે મોકલવા અંગેનો હુકમ ફરમાવેલ છે.
આ કામમાં ફરિયાદી જીતેન્દ્રકુમાર કાંતિલાલ યાજ્ઞીક તરફે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી હર્ષદકુમાર એસ. માણેક, સોનલબેન ગોંડલીયા, જાગૃતિબેન કેલૈયા રોકાયેલ છે.