રાજકોટ
News of Wednesday, 13th November 2019

મ્યુ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વધુ બે રેસ્ટોરન્ટના રસોડામાંથી'નો-એન્ટ્રી'ના બોર્ડ દૂર

રાજકોટઃ રાજય સરકારે હોટલ - રેસ્ટોરન્ટનાં રસોડા પર લાગેલા નો-એન્ટ્રીનાં બોર્ડ દુર કરીને ગ્રાહકોને રસોડુ ચેક કરવાનો અધિકાર આપવાનો વટહુકમ બહાર પાડતાં. તે અનુસંધાને મ્યુ. કોર્પોરેશનનાં ફુડ વિભાગે શહેરની વધુ કુલ ૩૦ રેસ્ટોરન્ટોમાં ચેકીંગ કરીને ૨ રેસ્ટોરન્ટોનાં  રસોડાઓ પરથી નો-એન્ટ્રીનાં બોર્ડ દુર કરવા સુચનાઓ આપી હતી. આ અંગે આરોગ્ય વિભાગની સત્તાવાર યાદી મુજબ ગુજરાત રાજયના ફુડ સેફટી વિભાગની વડી કચેરી, ગાંધીનગર દ્વારા બહાર પડાયેલ યાદીથી, રાજયના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ હોટલ-રેસ્ટોરન્ટોના ચિનની બહાર 'નો-એડમિશન વીધાઉટ પરમીશન' અથવા 'એડમિશન ઓનલી વીથ પરમીશન' જેવા બોર્ડ લગાવેલ હોય, તે તાત્કાલીક હટાવી લેવા તેમજ કચીન સ્વચ્છ રહે તેમ રાખવું અને ગ્રાહકો કીચનની અંદરનો ભાગ જોઇ શકે તે રીતે કાચની બારી અથવા દરવાજો મૂકવા અંગે સુચના આપતી યાદી બહાર પાડેલ. ઉપરોકત સુચનાની અમલવારી કરાવવા રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ ટીમ બનાવી  શહેરમાં આવેલ કુલ ૩૦ સ્થળોએ ઉકત બાબતે ચકાસણી હાથ ધરેલ. જેમાં કીચનની બહાર આ પ્રકારના બોર્ડ લગાવેલ છે કે કેમ ? કીચનની સ્વચ્છતા જોઇ શકાય તેવી વ્યવસ્થા છે કે કેમ ? તેમજ કીચનની હાઇજીનિક કંડીશનની જાળવણી બાબતે ચકાસણી હાથ ધરી ચકાસણી સમયે જોવા મળેલ 'નો એન્ટ્રી' જેવા બોર્ડ સ્થળ પર રૂબરૂમાં દૂર કરાવેલ. તેમજ જોવા મળેલ ક્ષતિઓ દૂર કરવા જવાબદારોએ લેખિત જાણ કરેલ. તદ્ઉપરાંત ચકાસણી સમયે જોવા મળેલ નો-એન્ટ્રી જેવા બોર્ડ સ્થળ પર રૂબરૂમાં દૂર કરાવેલ. જે રેસ્ટોરન્ટોનાં રસોડાઓ ઉપરથી 'નો-એન્ટ્રી'નાં બોર્ડ દુર કરાયેલ તેમાં  ફુડીઝ રેસ્ટોરન્ટ- આકાશવાણી ચોક, રોયલ રેસ્ટોરન્ટ- અયોધ્યા ચોકનો સમાવેશ થાય છે.

(3:36 pm IST)