ગુરૂજન સોસાયટીમાં હેતલબેન ટાંકનો ગળાફાંસો ખાઇ આપઘાત
પતિ અમિતે જાગીને જોયું તો બાજુનો રૂમ બંધ હતોઃ બારીમાંથી જોતાં પત્નિ લટકતી દેખાઇઃ બે દિકરી મા વિહોણી થતાં અરેરાટી
રાજકોટ, તા., ૧૩: કોઠારીયા રોડ પર ગુરૂજન સોસાયટીમાં રહેતી કડીયા મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ ગુરૂજન સોસાયટીમાં રહેતા હેતલબેન અમીતભાઇ ટાંક (ઉ.વ.૩૯) એ સવારે પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરીવારજનો જોઇ જતા તાકીદે જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા હેતલબેનનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા ભકિતનગર પોલીસ મથકના એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેચા સહીતના સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક હેતલબેનના પતિ મેડીકલ સ્ટોરમાં નોકરી કરે છે. તેને સંતાનમાં બે પુત્રી છે. તે જીદ્દી સ્વભાવના હોઇ અને તામસી મગજના લીધે તેણે આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે.
બેભાન હાલતમાં યુવાનનું મોત
સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઇ ગોરધનભાઇ નોંધણવદરા (ઉ.વ.૪૦) સવારે માર્કેટ યાર્ડથી ગ્રીનલેન્ડ ચોકડી નજીક બગીચામાં હતા ત્યારે તે એકાએક બેભાન થઇ જતા તેને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું મોત નિપજયું હતું. મૃતક સાત ભાઇમાં નાના હતા તે અપરણીત હતા અને તે ગેરેજમાં કામ કરતા હતા. તેને આંચકીની બીમારી હતી. પટેલ યુવાનનું આંચકી આવવાના લીધે અથવા હાર્ટએટેક આવતા મોત નિપજયું તે જાણવા બી-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. અશ્વીનભાઇએ તપાસ હાથ ધરી છે.