રાજકોટ - જામનગરમાં સ્થિતિ ખરાબ : NDRFની વધુ એક ટીમ મંગાવતુ કલેકટર તંત્ર : એક ટીમ જામનગર મોકલી દેવાઇ
કોટડા - પડધરી - ઉપલેટાના ૧૦ ગામોમાં પાણી ઘુસ્યા : હાલ કોઇ જાનહાની - નુકસાન નથી : શાપર - વેરાવળ સહિત નીચાણવાળા વિસ્તારમાંથી ૧૨ લોકોને ખસેડાયા : તંત્ર હાઇએલર્ટ દર કલાકે કલેકટર પોતે રીપોર્ટ મેળવી રહ્યા છે
રાજકોટ તા. ૧૩ : રાજકોટ શહેર - જિલ્લામાં બારે મેઘખાંગા થતા અને બેફામ વરસાદ ચાલુ હોય અનેક ગામો - વિસ્તારોમાં પાણી ભરાયા છે, પરિણામે રાજકોટ કલેકટરે વધુ એક એનડીઆરએફની ટીમ બોલાવી છે, જે વડોદરાથી સાંજ સુધીમાં આવી જશે, જામનગરમાં રાજકોટ કરતા પણ પરિસ્થિતિ ખરાબ હોય રાજકોટથી એક ટીમ જામનગર મોકલાઇ છે. દરમિયાન પડધરી - કોટડાસાંગાણી અને ઉપલેટા તાલુકાના ૧૦ ગામોમાં ચારેબાજુ પાણી ભરાતા તમામ સ્થળે તંત્ર દોડી ગયું છે, હાલ આ ૧૦ ગામોમાં કોઇ ખાનાખરાબી નથી કે જાનહાનિ નથી, શાપર - વેરાવળ સહિતના નીચાણવાળા વિસ્તારમાંથી તંત્રે ૧૨ લોકોને ખસેડી લીધા છે, સ્થળાંતર કરાયું છે, તો જામકંડોરણા, જૂના માત્રાવડા ગામમાંથી ૩નું સ્થળાંતર કરાયું છે, કલેકટરે સમગ્ર જિલ્લામાં તમામ સ્ટાફ હાઇ એલર્ટ કર્યો છે, દર કલાકે પ્રાંત - મામલતદાર પાસેથી વિગતો મેળવી રહ્યા છે.