બબ્બે વખતના લગ્ન ભંગાણને લીધે ભાંગી પડેલા મનસુખ ચોહાણનો સળગીને આપઘાત
ખોખડદળ વેલનાથપરાનો બનાવઃ કોળી યુવાન વિધવા માતાનો એક જ આધાર હતો
રાજકોટ તા. ૧૩: કોઠારીયા પાસે ખોખડદળ વેલનાથપરામાં રહેતાં મનસુખભાઇ વાલજીભાઇ ચોૈહાણ (ઉ.૩૭) નામના કોળી યુવાને સળગીને આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બબ્બે વખત લગ્નભંગાણ થતાં એકલવાયા જીવનથી કંટાળીને આ પગલું ભર્યાનું પરિવારજનોનું માનવું છે.
મનસુખભાઇ ચોૈહાણે સાંજે પાંચેક વાગ્યે ઘરે સ્ટવમાંથી કેરોસીન કાઢી શરીરે રેડી કાંડી ચાંપી લેતાંગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં એએસઆઇ ભોલાભાઇ સરીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર મનસુખભાઇના પિતા હયાત નથી. તે વિધવા માતા લાભુબેનનો એકનો એક આધારસ્તંભ હતો અને છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. તેના એક લગ્નમાં છુટાછેડા થયા બાદ બીજી મહિલા સાથે ઘરઘરણું કર્યુ હતું. તેની સાથે પણ છુટુ થઇ જતાં મનથી ભાંગી પડ્યો હતો અને તે કારણે આ પગલું ભર્યાનું તેના નજીકના સગાઓએ જણાવ્યું હતું.