૧૦ દિ'માં વાહન વેરાની ૧.૧૧ કરોડની આવક
લોકોને કયાં નડે છે મોંઘવારી-પેટ્રોલના ભાવ !: જન્માષ્ટમીમાં વાહનોનું ધુમ વેંચાણ : કોર્પોરેશનને ગત વર્ષની સરખામણીએ આજ દિન સુધીમાં ૩.૯ કરોડની વધુ આવક
રાજકોટ, તા. ૧૩ :. જન્માષ્ટમીના તહેવારોમાં ૩૭૨૭ વાહનોનું ધૂમ વેચાણ થતા મ્યુનિ. રૂ. ૧.૧૧ કરોડની વાહન વેરાની આવક થવા પામી છે. કોર્પોરેશનને ગત વર્ષની સરખામણીએ આજદિન સુધીમાં ૩ કરોડની વધુ આવક થઈ છે.
આ અંગે કોર્પોરેશનનાં વાહનવેરા વિભાગ માંથી મળતી પ્રાપ્ત માહિતી મુજબ તા.૧ એપ્રિલ ૨૦૧૮ થી તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં ૧૨ પ્રકારના ૨૮,૬૨૪ વાહનો વેચાતા કુલ રૂ. ૭.૧૭ કરોડની આવક થવા પામી છે. આ પૈકી ૨૩,૩૮૩ ટુ વ્હીલરના રૂ.૧.૪૩ કરોડ, ફોર વ્હીલર(પેટ્રોલ)૨૫૮૨ વાહનોના રૂ. ૨.૭૧ કરોડ, ફોર વ્હીલર(ડિઝલ)ના ૧૧૬૯ વાહનો વેચાતા રૂ.૨.૦૩ કરોડ તથા થ્રી વ્હીલર ૧૦૦૦ વેંચાતા રૂ.૧.૮૩ કરોડ , ૬ વ્હીલર ૮૧નાં રૂ.૨.૬૫ કરોડ સહિત કુલ રૂ. ૭.૨૭ કરોડની આવક તંત્રની તીજોરીમાં થવા પામી છે. વાહન વેરાનો મુળ ૧૩ કરોડ લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા ગત વર્ષથી વાહનની કિંમતનાં ૧ ટકા લેખે વેરો વસુલવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે, ૧ એપ્રિલ ૨૦૧૮ થી ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં કુલ ૨૩,૪૩૩ વાહનો વેચાતા કુલ રૂ. ૪.૧૯ની આવક તંત્રને વાહન વેરાની થવા પામી હતી.