રાજકોટ
News of Thursday, 13th September 2018

કલેકટર કચેરી ખાતે મહત્વની બેઠક મળીઃ દર્દીઓને એ-બી-સી કેટેગરીમાં વર્ગીકરણ કરી સારવાર આપવા સુચના

સી-કેટેગરીના દર્દીઓના જ સેમ્પલ લેવાના રહેશેઃખાનગીમાંથી દર્દીને સિવિલમાં ટ્રાન્સફર કરતી વખતે વેન્ટીલેટરથી સજ્જ એમ્બ્યુલન્સમાં ડોકટરે સાથે રહેવા સહિતના મહત્વના સુચનો અપાયા

રાજકોટ તા. ૧૩ : ગઇકાલે સ્વાઇન ફલૂના રોગચાળા અંતર્ગત કલેકટર કચેરી ખાતે મહત્વની મિટીંગ મળી હતી. જેમાં મહત્વની સુચનાઓ આપવામાં આવી હતી.

દરેક પ્રાથમિક, સામુહિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોએ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ શરદી-ખાંસીના દર્દીનું કેટેગરી એ-બી-સીમાં વર્ગીકરણ કરીને સારવાર આપવાની રહેશે. ફકત કેટેગરી સી-ના દર્દીઓના જ સેમ્પલ લેવાના રહેશે. માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો જ આવા દર્દીને દાખલ કરી શકશે અને દાખલ દર્દીને સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરતી વખતે જીલ્લા આરોગ્ય તંત્ર, નોડલ ઓફિસર સિઝનલ ફલૂ વગેરેનેો સંપર્ક કરીને જ ટ્રાન્સફર કરવાના રહેશે. દર્દીને ટ્રાન્સફર કરતી વખતે એક ડોકટર અને વેન્ટીલેટરની સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સનો જ ઉપયોગ કરવાનો રહેશે. તેમજ નોડલ ઓફિસરને દર્દી હેન્ડ ઓવર કર્યા પછી જ જવાનું રહેશે. દરેક મોટા શહેરોમાં મેડિકલ સ્ટોરમાં ટેમી ફલૂનો સ્ટોક રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. તથા તે અંગે દર અઠવાડીયે જીલ્લા આરોગ્ય તંત્રને રિપોર્ટ કરવાનો રહેશે. આ બેઠકમાં કલેકટરશ્રી વિક્રાંત પાંડે તથા શહેર જીલ્લાના આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(11:44 am IST)