રાજકોટ
News of Wednesday, 12th September 2018

રેસકોર્ષ મેદાનમાં સિધ્ધિ વિનાયકધામનું સર્જનઃ કાલે મેયર બંગલેથી ઢોલ-ડી.જે.ના તાલે દાદાની મુર્તિના વાજતે ગાજતે સામૈયા

રાજકોટ તા.૧૨: શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા સતત ૧૧ વર્ષની લગલગાટ સફળતા બાદ શહેરના રેસકોર્ષ ઓપન એર થીયેટર, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

કાલે તા.૧૩ના સવારે ૧૦-૩૦ વાગ્યે મેયર બંગલેથી ઢોલ અને ડી.જે. તાલે ગણપતિદાદાની વરણાંગી નીકળશે.

કાલથી ૨૩ સુધી સિધ્ધી વિનાયક ધામ ખાતે રોજેરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરની વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિ, સમાજોના શ્રેષ્ઠીઓ, મંડળો, એશોસીએશનો, અધિકારીઓ તથા શહેરની ધર્મપ્રેમી જનતાને જોડી ગણપતિ ઉત્સવની શોભા વધારવામાં આવી છે. તેમજ વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતોના ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી આશિર્વચનો પાઠવશે.

તા.૧૪ને શુક્રવારે રાત્રે ૯ કલાકે રાજભા ગઢવી અને સાથી કલાકારો દ્વારા ભવ્ય લોકડાયરો તા.૧૫ના શનીવારે સાંજે ૪-૩૦ કલાકે 'વન મીનીટ' સ્પર્ધા, રાત્રે ૯ કલાકે સાંસ્કૃતીક કાર્યક્રમ શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તેમજ બાટવા ખાતેની કારડીયા રાજપુત રાસમંડળી પોતાની કલા કૌશલનું પ્રદર્શન કરશે. ઉપરાંત તા.૧૬ના રવિવારે રાત્રે ૮-૩૦ કલાકે 'સદૈવ અટલ'(મે ગીત નયા ગાતા હું) કવિ સંમેલન જેમાં અજાતશત્રુ-ઉદેપુર, શશીકાંત યાદવ-દિવાસ,સુમીત મિશ્રા-ભોપાલ, સુશ્રી એકતા આર્ય-અલીગઢ અને મુકેશ મોલવા-ઇન્દોર પોતાની પંકિતઓ સંભળાવી કલા પ્રદર્શન કરશે.

તા.૧૭ના સોમવારે સાંજે ૪:૩૦ વાગ્યે આરતી શુશોભન તેમજ રાત્રે ૯ કલાકે શ્રીનાથજીની ઝાંખી, તા.૧૮ના મંગળવારે સાંજે ૪:૩૦ કલાકે વેસ્ટમાંથી બેસ્ટ ગણપતિ બનાવવાની સ્પર્ધા, રાત્રે ૯ કલાકે રાસ-ગરબા સ્પર્ધા, તા.૧૯ના બુધવાર રોજ સાંજે ૪:૩૦ કલાકે ગણપતિ ચિત્ર સ્પર્ધા અને રાત્રે ૯ કલાકે અંકિત ત્રિવેદી પ્રસ્તૃત સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન કરાયું છે. તા.૨૦ના ગુરૂવારે સાંજે ૪-૩૦ કલાકે પાણીપુરી ખાવાની સ્પર્ધા બહેનો માટે, અને છપ્પનભોગ દર્શન તથા લોકપ્રિયતાની ચરમસીમા પર પહોંચેલી લાડુજમણ સ્પર્ધાનું આયોજન સાંજે ૭-૩૦ કલાકે કરવામાં આવેલ છે.

તા.૨૧ના શુક્રવારના રોજ 'વન મીનીટ' સ્પર્ધા બાળકો માટે તથા રાત્રે ૯ કલાકે ગુણવંત ચુડાસમા તથા સાથી કલાકારો પ્રસ્તૃત હસાયરો યોજાશે. તા.૨૨ના શનીવારે સીવીલ હોસ્પિટલના ગરીબ દર્દીઓના લાભાથે સાંજે ૬ થી ૧૦ કલાક રકતદાન કેમ્પ અને રાત્રે ૭-૩૦ કલાકે ઇનામ વિતરણનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે.

દરરોજ રાત્રે ૯ થી ૧૧ સ્વાઇન ફલુ, ચીકન ગુનીયા અને ડેન્ગયુથી રક્ષણ મેળવવા માટે રોગ પ્રતિકારક દવાનું વિતરણ શહેરના જાણીતા ડો.એન.જે.મેઘાણીના માર્ગદર્શન નીચે કરવામાં આવશે.

આ ગણપતિ મંગલ મહોત્સવ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મિરાણી, મુખ્ય માર્ગદર્શન તરીકે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ રૂપાપરા, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી અને જુનાગઢ જિલ્લાના પ્રભારી નિતીનભાઇ ભારદ્વાજ મેયર બીનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયા, ભાનુબેન બાબરીયા, ઉદયભાઇ કાનગડ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, અંજલીબેન રૂપાણી, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, કાશ્મીરાબેન નથવાણી સહીતના મહાનુભાવોના માર્ગદર્શન હેઠળ સિધ્ધી વિનાયક ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન થયું છે, લાભ લેવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે કિશોર રાઠોડ-૯૮૨૪૨ ૯૧૬૯૬ નો સંપર્ક સાધવા જણાવાયું છે.(૧૭.૭૭)

(4:08 pm IST)