પર્યુષણ પર્વે વિરાણી પૌષધશાળામાં પૂ.સતિવૃન્દોના મૂખેથી વહેતા આત્મશુધ્ધીનો આસ્વાદ
શુક્રવારે તપસ્વીના સમુહ પારણા તથા શનિવારે તપસ્વીઓનું પ્રોસેશન-સંઘપૂજન
રાજકોટ, તા.૧૨: શ્રી સ્થા.જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળામાં ચાતુર્માસ અર્થે બીરાજીત પૂ.મા સ્વામીના સુશિષ્યા ૨૩ મ.સ.ઓની પરમશ્રૃત વાણી પર્યુષણપર્વના દિવસોમાં ભાવિકોના હ્રદય સુધી પહોંચતા અનેક તપસ્યાઓના ભાવમહી મંડાણ થઇ ચુકયા છે. તપસ્વીઓમાં માસક્ષમણ ના ચાર આરાધકો આયંબીલ માસક્ષમણના બે આરાધકો, સોળ ઉપવાસ તથા અગીયાર ઉપવાસના ચાર-ચાર આરાધકો તેમજ નવ ઉપવાસ અને અઠ્ઠાઇના પચ્ચીસ આરાધકો તેમજ અઠ્ઠમના આરાધકો સહીત કુલ પીસ્તાલીસથી પચાસ તપસ્યાઓની સંતોની પ્રેરણાથી વિરાણી પૌષધશાળા એક તપોભૂમી જણાય રહેલ છે.
પર્યુષણના દિવસોમાં ઉપાશ્રયમાં વ્યાખ્યાન દરમ્યાન નાટીકા રૂપે ઇતિહાસની રચનાઓની ઝાંખી મહીલા મંડળ તેમજ ભાવિકો ભજવી ભગવાન મહાવીરના સમયનું સ્મરણ કરાવી રહ્યા છે. જૈન ઇતિહાસમાં સોળ સતિઓના વેશભૂષા સાથે સંવાદ રજૂ કરેલ તેમજ પર્યુષણના પાંચમા દિવસે ભગવાન મહાવીરના સત્યાવીસ ભવોનું પૂ.મ.સ.એ વર્ણન કરી પ્રભુના શાસન દ્વારા જગતના માનવો ઉપર કરેલ ઉપકાર માટે અહોભાવ દર્શાવેલ મહાવીર જયંતીના દિવસે માતા ત્રિશલાના ગર્ભકાળ સમયમાં આવેલ ચૌદ સ્વપ્નોનું વર્ણન પૂ.મ.સ.એ કરેલ અને મહીલા મંડળની બહેનો ફોટાફ્રેમ સ્વરૂપે અપૂર્વ હોશથી ચૌદ સ્વપ્ના સૌની વચ્ચે પ્રર્દશીત કરેલ અને ત્યારબાદ સ્વપ્નોની ઉછામણીમા બોલી દ્વારા અનેક ભાવિકોએ લાભ લીધેલ.
વહેલી સવારથી પ્રાર્થનાથી સાંજના પ્રતિક્રમણ સુધી ધર્મ આરાધનામાં દિવસ પસાર થાય છે તેમજ પૂ.હીનાજી મ.સ.ની પ્રેરણા અને સમસ્ત ચાતુર્માસ દાતા શ્રીમતિ બિનાબેન અજયભાઇ શેઠ તરફથી દરેક અનુષ્ઠાનોમાં તેમજ વ્યાખ્યાન દરમ્યાન લકકી ડ્રો માં અનુમોદનાથી ભાવિકોમાં ઉત્સાહ જણાય છે. શુક્રવાર તા.૧૪ના રોજ તપસ્વીના સમૂહ પારણાનો લાભ ચાતુર્માસ દાતાએ લીધેલ છે અને શનિવાર તા.૧પ તપસ્વીઓનું પ્રોસેશન તેમજ પ્રસંગે પધારેલ સર્વેનો સંઘપૂજનના કાર્યક્રમું પણ વિશેષ આયોજન છે.
વિરાણી પૌષધશાળામાં પૂ.માં સ્વામીના સુશિષ્યા ત્રેવીસ મહાસતિજી સમુહ અને યાદગાર ચાતુર્માસની સફળતા માં પૂ.સંતોની પ્રેરણા ભાવિકોનો ધર્મ પ્રત્યેનો ઉત્સાહ અને સંઘ પ્રમુખ, મંત્રીશ્રીઓ, સંઘાણી સંઘના પ્રમુખશ્રી તથા મંત્રીશ્રી તથા કારોબારી સભ્યોની જહેમત દ્વારા ધર્મભાવનાથી ઉજવાય રહેલ છે.(૨૩.૯)