સર્વે પર્વોમાં પર્વાધિરાજ પર્યુષણ મહાનઃ આત્માની ઓળખ અને પ્રતિતિ માટે તપ-ધર્મની આરાધના જરૂરીઃ પૂ. ધીરજમુની મ.સા.
મંત્રમાં નવકાર મંત્ર મોટો છે, દાનમાં અભયદાન મોટું છે, રત્નમાં ચિંતામણી રત્ન મોટું છે, જ્ઞાનમાં કેવલ જ્ઞાન મોટું છે, સરોવરમાં માનસરોવર મહાન છે. પર્વતમાં મેરૂ પર્વત મોટો છે, નદીમાં ગંગા મહાન છે તેમ સર્વ પર્વોમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ મહાન છે.
પર્યુષણ પર્વનો પૈગામ એ છે કે સ્વાદ છોડો તો શરીરને ફાયદો (ર) વિવાદ છોડોતો સંબંધોને ફાયદો અને (૩) ચિંતા છોડોતો આત્માને ફાયદો છે.
આત્માની ઓળખ અને પ્રતિતિ માટે તપધર્મની આરાધના જરૂરી છે. માસક્ષમણ સોળભથ્થામાં ન જોડાયા હો તો છેલ્લે અઠ્ઠાઇતપમાં જોડાઇ જવા પર્યુષણનો પૈગામ છે. એ પણ શકય ન બને તો આઠ દિવસ સ્વાદને છોડવાનો પ્રયોગ કરવાનો છે. જીભ પાસેથી બે કામ લેવાના છે. ભાવે તેટલું ખાવું નહિં, આવડે તેટલું બોલવું નહિં.
આત્માની પ્રસન્નતા માટે બીજો પૈગામ છે કે વિવાદને છોડતા શીખો. વિવાદોથી શકિતનો વ્યય થાય છે. શત્રુઓ વધતા જાય છે. સંબંધો બગડે છે. માટે બોલતા પહેલા હજારવાર વિચારો જેથી સંબંધો બગડે નહિં.
આત્માની આરાધના માટે ચિંતા છોડવાનો ત્રીજો પૈગામ છે. આજનો માનવી ચિંતાતુર છે. સમજના અભાવે દુઃખી છે. અનુભવીઓ કહે છે ચિંતા નહિં ચિંતન કરતાં શીખો. જેથી આત્માને ફાયદો થાય.
''જબ તક સ્વભાવ નહિં સુધરતા તબ તક ધર્મ કા દિવ્ય આનંદ નહીં આતા''
જૈનધર્મ એ તો આત્માનો ધર્મ છે. આત્માની શાંતિ અને પવિત્રતા ઉપર જૈન ધર્મમાં ખુબ જ ભાર અપાયો છે. માટે પર્યુષણ પર્વ એ કોઇ લોૈકિક નહિ પરંતુ મહાન આધ્યાત્મિક પર્વ છે. લોૈકિક તહેવારોની ઉજવણીમાં લોકો દેહના શણગાર સજે છે. હરવા-ફરવા અને અને મોજશોખમાં દિવસો પસાર કરે છે. જયારે આધ્યાત્મિક તહેવારના દિવસોમાં દેહને નહીં પણ આત્માને સુંદર બનાવવાનો હોય છે.
તપ-જપ-ભકિત અને સમતા ભાવથી ઇન્દ્રિયો અને મનને શાંત બનાવવાની પવિત્ર બનાવવાની સાધના કરવાની હોય છે. પર્યુષણ પર્વ આવું આધ્યાત્મિક પર્વ છે. જૈન ધર્મના દરેક પર્વો પાછળ આવી આધ્યાત્મિક ચેતના છુપાયેલી છે.
''છોડો વેરની ગાંઠ, એજ છે પર્યુષણનો પાઠ તોડો રાગને દ્વેષ, એ છે પર્યુષણનો ઉપદેશ''(૧.૨૧)