'સોનાનો ચેઈન અને પલંગ ટુંકો લાવી છો, હવે તને જોઈતી નથી' કહી નમ્રતાબેન તેરૈયાને ત્રાસ
ગોકુલધામ સોસાયટીની વિપ્ર પરિણીતાની ફરીયાદ પરથી પતિ યતીન, સાસુ હંસાબેન, સસરા જગદીશ, નણંદ પૂજા અને હેતલ સામે ગુનો
રાજકોટ, તા. ૧૨ :. મવડી ચોકડી પાસે કૃષ્ણનગર મેઈન રોડ પર ગોકુલધામ સોસાયટીમાં સાસરીયુ ધરાવતી વિપ્ર પરિણીતાને ઘરકામ, કરીયાવર બાબતે પતિ, સાસુ, સસરા તથા નણંદ સહિત શારીરિક-માનસિક ત્રાસ આપતા મહિલા પોલીસ મથકમાં ફરીયાદ થઈ છે.
મ ળતી વિગત મુજબ જામનગર રોડ પર જૈન દેરાસર પાસે ધર્માન એપાર્ટમેન્ટ બી/૩૦૧માં માવતરે આવેલ નમ્રતાબેન યતીનભાઈ તેરૈયા (ઉ.વ. ૨૭) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે, 'પોતાના એક વર્ષ પહેલા યતીન તેરૈયા સાથે જ્ઞાતિના રીતરીવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ, સાસુ, સસરા તથા બે નણંદ સંયુકત કુટુંબમાં રહેતા હતા અને લગ્નના શરૂઆતના બે માસ પોતાને પતિ તથા સાસરીયાએ સારી રીતે રાખેલ બાદ પતિ યતીને અચાનક કહેલ કે 'આપણા પગે લાગવાના રૂ. ૧૦ હજાર કયાં મુકયા છે?' તેમ કહેતા પોતે મને યાદ નથી તેમ કહેતા પતિ યતીન, સાસુ, સસરા સહિતે માથાકુટ કરી હતી બાદ પતિ યતીન, સાસુ હંસાબેન, સસરા જગદીશ, નણંદ પૂજા અને હેતલ ઘરની તમામ નાની નાની બાબતે ટોર્ચર કરતા અને પતિ યતીને કહેલ કે 'તારા મમ્મીએ સોનાનો ચેઈન ટુંકો લાવી છો, પલંગ પણ ટૂંકો લાવી છો' કહી માથાકુટ કરી હતી અને માવતરના ઘરે જવા તથા વાત કરવા બાબતે મેણાટોણા મારી ત્રાસ આપતા હતા અને સાસુ હંસાબેન તેરૈયાએ કહેલ કે, બીજા મને પૂછે છે 'તારા વહુ કેટલા તોલા સોનુ લાવ્યા છે?' તેમ કહી મેણાટોણા મારે છે અને આપણામાં કપડા ચાલીસ જોડી હોય છે જે તુ લાવી નથી અને આઠ દિવસ માવતરે રોકાવા ગયા બાદ પરત આવતા સાસુએ ઝઘડો કરી 'અમારા યતીનને સારી છોકરી મળી જાત અને હવે તુ નથી જોઈતી' એવી કહી કહેલ કે 'તું તારૂ બધુ બાંધીને ઉપડ મુકવા પણ આવશુ નહી એકલી જાજે' તેમ કહી ઝઘડો કરતા પોતે પોતાના માવતરે આવી હતી. આ અંગે નમ્રતાબેન તેરૈયાએ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. જી.વાય. પંડયાએ તપાસ હાથ ધરી છે.(૨-૮)