વ્યાજના ચક્કરમાં ઘર છોડી ગયેલા પુત્રના અપંગ મા-બાપને વ્યાજખોરોનો ત્રાસઃ પોલીસ કમિશ્નર સમક્ષ ધા
પોલીસમેન પણ તારો પુત્ર કયાં છે? તેમ કહી ધમકાવે છેઃ વ્યાજખોરોની યાદી રજુ કરી
રાજકોટ, તા., ૧ર : મવડી વિસ્તારમાં આવેલા ઓમનગરમાં રહેતા અપંગ મનસુખભાઇ નાનજીભાઇ બોડાએ વ્યાજના ચક્કરમાં ઘર છોડી ગયેલો પોતાનો પુત્ર કયાં છે? તેવા સવાલો કરી વ્યાજંકવાદીઓ તેમને અને તેમના પત્નીને ભયંકર ત્રાસ આપતા હોવાની ફરીયાદ પોલીસ કમિશ્નર સમક્ષ કરી છે. મનસુખભાઇ નાનજીભાઇ બોડાએ લેખીત રજુઆતમાં જણાવ્યું છે કે હું અને મારી પત્ની બંન્ને અપંગ છીએ. મારો પુત્ર મારા કહયામાં વર્ષોથી નથી. આ સંદર્ભે મેં અખબારોમાં જાહેર નોટીસ પણ આપી હતી. તેણે અમુક લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. આ લોકો અમને ખુબ પરેશાન કરે છે. મારો દિકરો પણ તેમના ત્રાસથી, 'મારી ચિંતા કરતા નહિ, મને શોધતા નહિ, હું પૈસાની વ્યવસ્થા કરીને જ પાછો આવીશ' તેમ કહી કયાંક ચાલ્યો ગયો છે. આ પહેલા લોન લઇને પણ વ્યાજના પૈસા ચુકવ્યા હતા. હજુ પણ અમને ખુબ પરેશાન કરે છે. ફોન ઉપર જેમ-તેમ બોલે છે. શાંતિથી કામ કરવા દેતા નથી. તારા છોકરાને બારોબાર પુરો કરી નાખવા અને ઘરને તાળા મારી દેવા ધમકી આપે છે. મારા પુત્રની ગાડી અને પૈસા બધુ જ લઇ લીધું છે. માલવીયા પોલીસ ચોકીમાંથી કર્મચારીઓ મધરાતે આવીને અમારા તથા આસપાસના ઘરો ચેક કરી ' તારા છોકરાને કયાં સંતાડયો છે તેમ કહી ધમકાવે છે' પોલીસમેને ફોન કરી તેમજ રૂબરૂ પોલીસની ગાડી લઇ આવી, 'તારા છોકરાને કહે મારી ગાડી આપી દે' તેમ કહી ધમકાવે છે.
કુલદીપભાઇ ઝાલા, સાગરભાઇ ટાંક, સાગરભાઇ વાંક, અજયભાઇ જાડેજા, પીન્ટુભાઇ, તેજસભાઇ, ઋતુરાજસિંહ, નગીનભાઇ ડાંગર અને કિશનભાઇ ડાંગરનો અમને સતત માનસીક ત્રાસ છે આ બાબતે યોગ્ય કરી અમારી તકલીફનું નિરાકરણ લાવવા વિનંતી છે તેવું મનસુખભાઇએ પોતાની લેખીત અરજીમાં જણાવ્યું છે. (૪.૧૧)