પતિથી અલગ રહેતી જ્યોત્સનાએ ગળાફાંસો ખાધોઃ પતિ સતત હેરાન કરતો હોવાનો આક્ષેપ
થોરાળામાં સાસરૂ ધરાવતી પરિણીતા એકાદ વર્ષથી વિરાણી હાઇસ્કૂલ પાછળ એકલી રહે છેઃ નોકરીએ જાય ત્યારે પતિ રસ્તામાં રોકી હેરાન કરે છે, ગઇકાલે પણ માથાકુટ કરી'તી
રાજકોટ તા. ૧૩: વિરાણી હાઇસ્કૂલ પાછળ રામકૃષ્ણનગર વેસ્ટમાં પેઇંગ ગેસ્ટ તરીકે એકલી રહેતી જ્યોત્સના સંજય ચોૈહાણ (ઉ.૨૫) નામની પરિણીતાએ રાતે પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જીવ બચી ગયો હતો. તેણી સારવાર માટે દાખલ થઇ હતી અને પતિ હેરાન કરતો હોવાથી આ પગલુ ભર્યાનો આક્ષેપ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ વિરાણી હાઇસ્કૂલ પાછળ રહેતી જ્યોત્સના ચોૈહાણે રાતે ગળાફાંસો ખાવાનો પ્રયાસ કરતાં તેણીને સિવિલમાં ખસેડાઇ હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે એ-ડિવીઝનમાં જાણ કરી હતી. જ્યોત્સનાએ હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે તેના માવતર થોરાળામાં રહે છે અને સાસરૂ પણ ત્યાં જ છે. તેણીના લગ્ન સંજય સાથે સાત વર્ષ પહેલા થયા છે. એકાદ વર્ષથી પતિ સતત નાની નાની વાતે હેરાન કરી ત્રાસ આપતો હોઇ પોતે ઘર છોડી એક વર્ષથી અલગ એકલી રહે છે અને બ્યુટી પાર્લરમાં કામ કરે છે. અલગ રહેતી હોવા છતાં પતિ હેરાન કરવાનું બંધ કરતો ન હોઇ અને પોતે નોકરીએ જાય આવે ત્યારે પણ રસ્તામાં ઉભી રાખી હેરાન કરતો હોઇ ગઇકાલે પણ ફોન કરી ઝઘડો કરતાં પોતે કંટાળી જતાં આ પગલુ ભર્યુ હતું. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી કાર્યવાહીની તજવીજ કરી હતી.