૧૧ કેવીની લાઇન રીપેર કરતી વખતે કરંટ લાગતા લાઇનમેન વિનોદભાઇનું મોત
ખોખડદળ નદીના પુલ પાસે બનાવઃ છ માસનો પુત્ર, અને બે વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા રેલનગરના પરિવારમાં આક્રંદ
રાજકોટ, તા.૧૩: ખોખડદળ નદીના પુલ પાસે ૧૧ કેવીની લાઇન રીપેર કરતી વખતે વીજ કરંટ લાગતા રેલનગરના લાઇનમેનનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ રેલનગર સાધુવાસવાણી કુંજ રોડ પર શ્રધ્ધા સોસાયટીમાં રહેતા પીજીવીસીએલના લાઇનમેન વીનોદભાઇ કકવાજીભાઇ બરંડા (ઉ.વ.૩૮) ગઇકાલે ખોખડદળ નદીના પુલ પાસે ૧૧ કેવીની લાઇન રીપેર કરતા હતા ત્યારે તેને અચાનક વીજ કરંટ લાગતા બેભાન થઇ જતા તેને સારવાર માટે દોશી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ હેમતભાઇ ધરજીયાએ કાર્યવાહી કરી હતી. મૃતક વીનોદભાઇના પરિવારજનો સાબરકાંઠાના વિજયનગર પાસે રહે છે. છ માસના પુત્ર અને બે વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.