મામાના ઘરે ધમલપર ગયેલો પોપટપરાનો ભાવેશ સુતા પછી ઉઠ્યો જ નહિ
રાજકોટ તા.૧૩: પોપટપરામાં રહેતો અને સાડીના કારખાનામાં કામ કરતો ભાવેશ મનસુખભાઇ દારોદરા (ઉ.૨૬) નામનો કોળી યુવાન ધમલપર ગામે તેના મામા ભગુભાઇ મોહનભાઇ બાહુકીયાના ઘરે હતો ત્યારે રાત્રે ખાટલામાં સુતા બાદ સવારે ન ઉઠતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.
હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે કુવાડવા પોલીસને જાણ કરી હતી. મૃતક પાંચ ભાઇમાં ચોથો અને કુંવારો હતો. તે અને પિતા મનસુખભાઇ બે દિવસથી ધમલપર મામાને ત્યાં રોકાવા ગયા હતાં. યુવાન દિકરાનું અચાનક મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
ગાંધીગ્રામમાં બેભાન હાલતમાં ૧૬ માસના કરણનું મોત
ગાંધીગ્રામ શ્યામનગર-૩માં રહેતાં અને બેંકમાં પ્યુન તરીકે નોકરી કરતાં વાલ્મિકી રાજેશભાઇ વાઘેલાનો પુત્ર કરણ (ઉ.૧૬ માસ) બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.