એએસઆઇ-કોન્સ્ટેબલના મોતનું રહસ્ય વધુ ઘેરૃઃ ફિંગરપ્રિન્ટ રિપોર્ટ સાંજ સુધીમાં આવશે
રવિરાજસિંહની ક્રેટા કાર રાત્રે ૧૧:૫૩ કલાકે અંદર આવે છે પછી બહાર નથી નીકળતીઃ ૨:૪૨ કલાકે બહાર જતી કાર અંગે તપાસ
રાજકોટ તા. ૧૨: શહેરના યુનિવર્સિટી પોલીસ મથકના મહિલા એએસઆઇ ખુશ્બૂબેન રાજેશભાઇ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાના અપમૃત્યુના બનાવમાં રહસ્ય વધુ ઘેરૂ બન્યું છે. હત્યા-આત્મહત્યાની આ ઘટનામાં એફએસએલ દ્વારા સર્વિસ પિસ્તોલ પર કોના ફિંગર પ્રિન્ટ છે? તે અંગેનો રિપોર્ટ આજ સાંજ સુધીમાં આવી જાય તેવી શકયતા છે. એ પછી આ ઘટનામાં ફાયરીંગ કોણે કર્યા હતાં તે સ્પષ્ટ થવાની શકયતા હોવાનું ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈનીએ જણાવ્યું હતું. જ્યાં આ બનાવ બન્યો તે પંડિત દિનયાળ નગર આવાસ કવાર્ટરમાં રાત્રે ૧૧:૫૩ કલાકે રવિરાજસિંહની ક્રેટા કાર આવે છે અને પછી સવાર સુધી આ કાર બહાર જથી નથી તે સીસીટીવી કેમેરા પરથી સ્પષ્ટ થયું છે. જો કે એક કાર ૨:૪૨ કલાકે બહાર નીકળતી હોવાના ફૂટેજ સોશિયલ મિડીયામાં વહેતા થયા છે. આ કારને ઘટના સાથે કોઇ સંગતતા છે કે પછી કોઇ રહેવાસી કામ સબબ બહાર ગયા હતાં? તેની તપાસ થઇ રહી છે.
ખુશ્બૂબેનના કુટુંબીજનોએ રાજકોટ પહોંચતાની સાથે જ આ ઘટના આપઘાતની નહિ પણ હત્યાની હોવાનું જણાવી પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી હતી અને તપાસમાં સંતોષ ન મળે ત્યાં સુધી મૃતદેહ નહિ સંભાળે તેમ જણાવ્યું હતું. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે એફએસએલના રિપોર્ટ આવી જાય તે સાથે ચાર-પાંચ દિવસમાં જ તપાસનો રિપોર્ટ આપશે અને કોઇપણ જાતની કચાશ રાખવામાં નહિ આવે તેવી ખાત્રી આપતાં સાંજે ખુશ્બૂબેનનો મૃતદેહ સંભાળી જામજોધપુર લઇ જવાયો હતો.
પોલીસ તપાસમાં દરમિયાન ખુશ્બૂબેન અને દિવ્યરાજસિંહની જ્યાંથી લાશ મળી એ રહેણાંકમાંથી બીજી એક સર્વિસ રિવોલ્વર પણ મળી આવી હતી. આ રિવોલ્વર એએસઆઇ વિવેક કુછડીયાની હોવાનું ખુલતાં તેની પણ પુછપરછ કરવામાં આવી હતી. ડીસીપી રવિકુમાર સૈની, એસીપી જે. એસ. ગેડમ અને પી.આઇ. વી.એસ. વણઝારાએ આ રિવોલ્વર ખુશ્બૂબેનના ઘરે કઇ રીતે ભુલાઇ ગઇ? તે બાબતે એએસઆઇ વિવેક કુછડીયાની વિસ્તૃત પુછતાછ કરતાં તેણે એવું કહ્યું હતું કે ઘરે નાની દિકરી હોઇ તેના હાથમાં રમતાં-રમતાં હથીયાર ન આવી જાય તે માટે તે ખુશ્બૂબેનના ઘરે જ મોટે ભાડે રિવોલ્વર રાખતા હતાં તેવું તેણે કહ્યું હતું.
એફએસએલ દ્વારા જેમાંથી ફાયર થયા તે ખુશ્બૂબેનની પિસ્તોલમાંથી ફિંગર પ્રિન્ટ લેવામાં આવ્યા હતાં. તેનો રિપોર્ટ સંભવતઃ આજે સાંજે આવી જશે. તે સાથે જ ફિંગર કોના છે તે સ્પષ્ટ થઇ જવાની શકયતા જણાઇ રહી છે.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે અબોર્શનના મુદ્દે પણ તપાસ થઇ રહી છે. તેમજ બંનેના ફોનકોલ્સના ડિટેઇલ પરથી પણ તપાસ થશે. ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં ટીમો દરેક મુદ્દે તપાસ કરી રહી છે. ખાસ તો એફએસએલ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. તે આવ્યા બાદ પોલીસ તપાસને વેગ મળશે.