જૈનો માટે જ નહિં જનમાત્ર માટે આ ચાતુર્માસ છેઃ પૂ.નમ્રમુનિ મ.સા.
સંવત્સરી પર્વે ૧૧ હજાર લોકો એક સાથે પ્રતિક્રમણ કરશેઃ વ્યસનમુકતી અભિયાન દ્વારા ૭૦-૮૦ લોકોને વ્યસન છોડાવ્યાઃ જીવદયા માટે પ્રયત્ન જરૂરી
રાજકોટઃ તા.૧૩, ચાતુર્માસ અર્થે રાજાણીનગરી રાજકોટમાં પધરામણી કરેલ ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ, રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા. આદી ૭૫ સંત -સતીજીઓ રવિવારે શેઠ ઉપાશ્રય ખાતે પ્રવેશ કરનાર છે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. પત્રકારો સાથેની અનઔપચારિક મુલાકાતમાં પૂ.શ્રીએ ચાતુર્માસમાં યોજાનાર કાર્યક્રમો અંગે વાતચિત કરેલ.
પૂ. ન્રમમુનિ મ.સાએ જણાવેલ કે આ ચાતુર્માસ જૈનો માટે જ નહિ પણ જનમાત્રનું છે. હુ ચાતુર્માસમાં કે અન્ય પ્રસંગે જે કંઇ કહું છું એ સર્વને માટે હોય છે. રાજકોટના ભાવિકોમાં હાલમાં ખુબજ બદલાવ આવ્યો છે. મારા છેલ્લા ચાતુર્માસ અને હાલમાં શ્રાવક-શ્રાવિકાઓમાં ભાવના ખુબ જ વધી છે. તેના ઉદાહરણરૂપે હુ વ્યાખ્યાન માાટે પાટ ઉપર બેસુ એ પહેલા જ હોલ ભરાઇ જાય છે.
પૂ.શ્રી એ વધુમાં જણાવેલ કે પ્રભુને પામવા માટે કષ્ટ સહન કરવાની તૈયારી હોય તો જ પ્રભુ પ્રાપ્તી થાય છે. જીવનમાં કોઇ વસ્તુ અશકય નથી. બસ પ્રયત્ન કરવાથી જ અશકય પણ શકય બની જાય છે. લોકોમાં પામવાની જીજ્ઞાસા હોય જ છે.
સમુહ ચાતુર્માસ અંગે પૂ. ન્રમમુનિ મ.સા.એ જણાવેલ તપસમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.ની નિશ્રામાં ૧૯૯૨ તથા ૧૯૯૭માં બે વાર સમુહ ચાતુર્માસ રાજકોટમાં યોજાયેલ. ત્યારબાદ આટલા વર્ષો પછી આ અવસર આવ્યો છે. સમુહ આરાધનાથી સંયમ સાધનાના વાયબ્રેશન અલગ અનુભુતિ કરાવે છે.
જીવદયા અંગે પૂ. ન્રમમુનિ મ.સા.એ જણાવેલ કે જનમાત્રનું દિલ જીવહિંસાથી દુભાય છે. તેેને અટકાવવા પ્રયત્ન કરવા જરૂરી છે. જયાં પણ જીવહીંસા થતી હોય ત્યાં તેને રોકવા માટે પ્રયત્ન કરવો જોઇએ ફકત જૈનો જ નહિ પણ અજૈનો પણ જીવહીંસા અટકાવવા પ્રયત્નો કરતા હોય છે.
જયારે સંત-સતીજી વિહાર કરતા હોય ત્યારે નાના-નાના ગામડાઓમાં જયાં જૈનનું એક પણ ઘર નથી ત્યાં અજૈનો દ્વારા તેમનુ પુરૂ આદર સત્કાર કરવામાં આવે છે. તેમના ઉતારા, ગોચરી-પાણીની પણ વ્યવસ્થા કરી અપાઇ છે. તેવા અજૈન લોકોના સન્માનનો કાર્યક્રમ પણ ચાતુર્માસ દરમિયાન યોજવાનું પૂ.નમ્રમુનિ મ.સા.એ જણાવેલ.
આ ઉપરાંત હાલ રાજકોટમાં ૭૦ થી ૮૦ લોકોને વ્યસનમુકત કરાયા હોવાનુ જણાવી પૂ.નમ્રમુનિએ જણાવેલ કે આ અંગે હું અને સર્વે સંતો પુરા પ્રયત્ન કરીએ છીએ એક વ્યસનમુકત સમાજનું નિર્માણ થાય. વ્યસનથી વ્યકિત નહિ પણ આખા પરિવારને નુકશાન થાય છે. ભલે તે શારીરીક હોય કે આર્થીક રીતે હોઇ.
ગુરૂ-શિષ્યની પરંપરા ઉપર પૂ.નમ્રમુનિએ જણાવેલ કે જે શિશ મુકાય જાય તે શિષ્ય કહેવાય. શિષ્યએ વિવેક અને વિનયનું સંકલન કરી ચાલવુ જોઇએ. ગુરૂના આદેશને માની શિષ્યએ વિવેક સાથે તેને પુર્ણ કરવો જોઇએ.
આ ઉપરાંત સંવત્સરીના પાવન પર્વે એક સાથે ૧૧૦૦૦ લોકોના પ્રતિક્રમણનું આયોજન કરવા માટે પણ ઓપ અપાઇ રહયાનું પૂ.શ્રીએ જણાવેલ. સમગ્ર જૈન સમાજ, વિવિધ સામાજીક-ધાર્મિક સંસ્થાઓ દ્વારા ચાતુર્માસ પ્રવેશ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રસંગે નટુભાઇ શેઠ, ચંદ્રકાંતભાઇ શેઠ, પ્રવિણભાઇ કોઠારી, ડોલરભાઇ કોઠારી, મનોજભાઇ ડેલીવાળા, અશોકભાઇ મોદી, ભાવેશભાઇ શેઠ વગેરે હાજર રહેલ.
પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા.એ માંગલીક ફરમાવેલ. આભારવિધિ ચંદ્રકાંતભાઇ શેઠે કરી હતી. પૂ.નમ્રમુનિ મ.સા.એ રાજકોટમાં જૈનો માટે સ્કુલ, હોસ્પિટલ અને અદ્યતન, વાડી અંગે પણ પ્રયાસો કરાશેનું જણાવેલ. આ ઉપરાંત પૂ.નમ્રમુનિ મ.સા.ના જન્મદિને માનવતા મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો અંગે જૈન અગ્રણીઓએ આયોજન ચાલુ હોવાનું જણાવેલ.(૪૦.૬)