રાજકોટ
News of Thursday, 13th June 2019

રૈયાધારમાં મેમાભાઇ ભરવાડએ ટૂવાલથી ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવીઃ માનસિક બિમારી કારણભૂત

સણોસરામાં માનસિક બિમારીથી કંટાળી આમીરભાઇ ભુવર સળગ્યાઃ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૩: રૈયાધારમાં ભરવાડ પ્રોૈઢ ઘરની ઓસરીની જાળીમાં ટૂવાલ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. માનસિક બિમારીથી કંટાળીને આ પગલું ભર્યુ હતું.

પ્રાપ્ત માહિતી મુજબ રૈયાધાર રાણીમા રૂડીમા ચોકમાં રહેતાં મેમાભાઇ ટીડાભાઇ પરમાર (ઉ.૫૫) નામના ભરવાડ પ્રોૈઢએ સવારે ઘરના સભ્યો ઉપરના રૂમમાં સુતા હતાં ત્યારે નીચે આવી ઓસરીની જાળીમાં ટૂવાલ બાંધી ફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ રબારી અને અક્ષય ડાંગરે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર મેમાભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. બે વર્ષથી મેમાભાઇને માનસિક બિમારી હોઇ તેના કારણે કંટાળીને આ પગલું ભર્યાનું પરિવારજનોએ પોલીસની પ્રાથમિક પુછતાછમાં કહ્યું હતું.

બીજા બનાવમાં કુવાડવા તાબેના સણોસરામાં રહેતાં આમીરભાઇ સતારભાઇ ભુવર (ઉ.૩૪) નામના યુવાને અગ્નિસ્નાન કરી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે. આમીરભાઇને કેટલાક વર્ષથી માનસિક બિમારી હોઇ તે કારણે આ પગલું ભર્યાનું સ્વજનોએ કહ્યું હતું. તે બે ભાઇ અને ત્રણ બહેનમાં નાના છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા જાણ કરી હતી.

ઉલ્ટી થયા બાદ ગુરૂપ્રસાદ ચોકના સંગીતાબેનનું મોત

ગુરૂપ્રસાદ ચોક ત્રિવેણીનગર મેઇન રોડ પર ગરબી ચોકમાં રહેતાં સંગીતાબેન જગદીશભાઇ સોલંકી (ઉ.૪૩) નામના કોળી મહિલાને સવારે વાસણ સાફ કરતી વખતે ઉલ્ટીઓ થવા માંડતા અને બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ અને અક્ષયભાઇએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. મૃતકને સંતાનમાં બે પુત્ર છે. પતિ જગદીશભાઇ ઉકાભાઇ સોલંકીને અનાજ દળવાની ઘંટી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(3:46 pm IST)