ઘાંસચારા અને પાણી વગર ટ્રકમાં ક્રુરતાપૂર્વક બાંધેલી ૯ ભેંસોને મુકત કરાવતી પોલીસ
માણાવદરનો આશીફ સેતા અને વંથલીનો બીરજુ ખટાણાને પીરવાડી રોડ પરથી ઝડપી લીધા
રાજકોટ તા. ૧૩: આજીડેમ નજીક પીરવાડી રોડ પરથી ગૌરક્ષકો અને આજીડેમ પોલીસે ટ્રકમાં ઘાંસચારા અને પાણી વગર ક્રુરતાપૂર્વક બાંધેલી નવ ભેંસોને મુકત કરાવી બે શખ્સોને પકડી લીધા છે.
મળતી વિગત મુજબ અમદાવાદ બાયપાસ હાઇવે પીરવાડી રોડ પરથી પશુ ભરેલો ટ્રક પસાર થવાનો બાતમી મળતા ગૌરક્ષક શૈલેષભાઇ હસુભાઇ ગોંડલીયા (ઉ. રપ) (રહે. શાપર-વેરાવળ વ્રજ વાટીકા સોસાયટી-૪) સહિતે પોલીસમાં જાણ કરતા આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આર. બી. વાઘેલા સહિત પીરવાડી રોડ પર વોચમાં હતા ત્યારે ત્યાંથી જીજે-૧૮-યુ-૬૩૦૧ નંબરનો પસાર થતા તેને રોકી તલાશી લેતા ટ્રકની પાછળ ઘાંસચારા અને પાણી વગર નવ ભેંસોને ક્રુરતા પૂર્વક બાંધેલી હાલતમાં જોવા મળતાં પોલીસે નવ ભેંસોને મુકત કરાવી હતી, અને ટ્રકમાં બેઠેલા ટ્રક ચાલક આશીફ અલીભાઇ સેતા (ઉ.વ.રર) (રહે. માણાવદર રાવલપરા શેરી નં. ૬) અને કલીનર બીરજુ બાવનજીભાઇ ખટાણા (ઉ.વ.ર૧) (રહે. વંથલી રબારીવાસ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.