રાજકોટ
News of Wednesday, 12th June 2019

આપાગીગા ઓટલા દ્વારા રાત આખી સામગ્રી તૈયાર કરાઈ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આગોતરૂ આયોજન : મહંત પૂ.નરેન્દ્રબાપુની નિશ્રામાં તૈયારીનો ધમધમાટ

રાજકોટ, તા. ૧૨ : શ્રી આપાગીગાનો ઓટલો મોલડી ગામે શ્રી નરેન્દ્રબાપુની અધ્યક્ષતામાં ગઈકાલે સાંજથી જ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સુચના તેમજ રાહુલ ગુપ્તા કલેકટર શ્રી તેમજ શ્રી પંડ્યા વગેરેની સાથે ગુરૂવારે આવનાર વાવાઝોડાના અનુસંધાને સંકલન રાખી અને જો વાવાઝોડુ આવે તો એની આગોતરી તૈયારીરૂપે સરકાર દ્વારા આયોજન કરી દીધુ છે. જેમાં શ્રી આપાગીગાના ઓટલા દ્વારા સહયોગી બનવા માટે થઈ અને રાજકોટ તેમજ ચોટીલાની ટીમ દ્વારા સતત આખી રાત ગુંદી - ગાંઠીયાઓ બનાવવાનું ચાલુ છે. કાર્યકર્તાઓ દ્વારા ગઈસાંજથી ગુંદી - ગાંઠીયા બનાવવા માટેના તાવડા ચાલુ છે. આજે સવારે એક ગાડીની અંદર ગુંદીની ચોકીઓ ભરી ગુંદી અને બીજી ગાડીમાં ગાઠીયા જેમાં આખરે ૨૦ થી ૨૫ હજારના ફૂડ પેકેટો તૈયાર થશે. જે રાજકોટ કલેકટરશ્રીને રવાના કરવામાં આવેલ છે.

તેમજ આજરોજ પણ સતત રસોડુ ધમધમતુ રાખી કાર્યકર્તાઓ દ્વારા સાંજ સુધીમાં બીજા આશરે ૭૫ હજાર ફૂડ પેકેટ તૈયાર કરી સામાન મોકલવામાં આવશે અને માનવતાવાદી પ્રવૃતિને લઈને ચાલતા શ્રી આપાગીગાના ઓટલે જયારે કોઈપણ પ્રકારની કુદરતી આફતો આવતી હોય છે ત્યારે મનુષ્ય જન્મનું આ ઋણ ચૂકવવા માટે થઈ અને માનવતાનો પાઠ પાડી લોકોને સતત ઉપયોગી થવા માટેની ભાવના દ્વારા આયોજન કરવામાં આવેલ છે.

શ્રી આપાગીગાનો ઓટલો અને સતાધાર ગામ ૨૪ કલાક ચાલતા અન્નક્ષેત્રો છે. સંપૂર્ણપણે માનવતાવાદને વરેલી વાત છે. કોઈપણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર દરેક લોકોને ઓટલો અને રોટલો મળી રહે તેવી વ્યવસ્થા પૂ. આપાગીગા દ્વારા કરવામાં આવેલ છે. અમારી પરમ કૃપાળુ પરમાત્મા - ભગવાનને પ્રાર્થના છે કે કોઈપણ પ્રકારનું વાવાઝોડુ કયાંય પણ ન આવે છતાં પણ કંઈ અઘટિત બને તો તેની તૈયારી માટે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રસંગોપાત આગોતરૂ આયોજન કરવામાં આવેલ છે. તેમાં દરેક સંસ્થાઓ અને લોકો પોતપોતાની યોગ્ય ફાળો આપે તે અગત્યનુ છે. લોકોને ઉપયોગી થવા માટેની ભાવના માટે નરેન્દ્રબાપુની હાંકલ છે.

(11:53 am IST)