રાજકોટ
News of Wednesday, 13th June 2018

કાલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રથમ સત્રનો પ્રારંભઃ એકેડેમિક કેલેન્ડરની રચના

કુલપતિ ડો. નિલાંબરીબેન દવેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વેકેશન બે દિવસ ટુંકવ્યું

રાજકોટ તા.૧૧ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના પ્રિન્સીપાલશ્રીઓની એકેડેમિક કેલેન્ડરની રચના, પ્રવેશ ઇન્ટેક, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તથા મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાની અમલવારીના સંદર્ભેમાં બેઠક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિલાંબરીબેન દવેની અધ્યક્ષતામાં યોજાયેલ. આ બેઠકમાં સંલગ્ન કોલેજોમાં એકેડેમિક કેલેન્ડરની અમલવારી, કોલેજોમાં નવા પ્રવેશ આપવા, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તથા મુખ્યમંત્રી એપ્રોન્ટીસશીપ યોજનાની અમલવારી કરવા બાબચે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી.

બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી વર્ષના એકેડેમિક કેલેન્ડર બાબતે ચર્ચા કરવામાં આવેલ હતી. જેમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ ના એકેડેમિક કેલેન્ડર અંગે નિર્ણય કરવામાં આવેલ હતા.

પ્રિન્સીપાલશ્રીઓની બેઠકમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તા. ૨૧/૬/૨૦૧૮ ના રોજ કરવા માટે પરિણામલક્ષી આયોજન કરવા અંગેનો નિર્ણય કરવામાં આવેલ હતો તથા સંલગ્ન કોલેજોમાં નવા પ્રવેશ આપવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી.

સૌરાષ્ટ્રો યુનિવર્સિટી ખાતે આજરોજ યોજાયેલ પ્રિન્સીપાલશ્રીઓની બેઠકમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ માં લેવાનાર વિવિધ યુ.જી. અને પી.જી. ની પરીક્ષાઓની તારીખો નિયત કરવામાં આવેલ હતી. જેમા ઓકટોબર-૨૦૧૮માં લેવાનાર પરીક્ષાઓ તા. ૨૨/૧૦/૨૦૧૮ના રોજ શરૃ થશે તેમજ માર્ચ-૨૦૧૯માં લેવાનાર પરીક્ષાઓ તા. ૧૯/૩/૨૦૧૯થી શરૃ થશે તેવો નિર્ણય કરવામાં આવેલ હતો.

યુનિવર્સિટી કેમ્પસ ખાતે મળેલ બેઠકમાં યુનિવર્સિટીના સિન્ડિકેટ સદસ્યશ્રીઓ સર્વશ્રી ડો. વિજયભાઇ પટેલ, ડો. મેહુલભાઇ રૃપાણી, ડો. ધરમભાઇ કાંબલીયા, ડો. વિમલભાઇ પરમાર, કુલસચિવ ડો. ધીરેન પંડયા, નિયામક અમીતભાઇ પારેખ, નાયબ કુલસચિવ ડો. આર.જી. પરમાર, નોડલ ઓફીસર અને બી.કે. મોદી ફાર્મસી કોલેજના આચાર્ય જયંતભાઇ ચાવડા, એમ.બી.એ. ભવનના પ્રો. હિતેશ શુકલ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ તેમજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

(4:02 pm IST)